(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર. કે. સિંહના માર્ગદર્શન તેમજ પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાના નેતૃત્વ હેઠળ ‘‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાએ પ્રસંગ ને અનુરૂપ પ્રસ્તાવના આપી. ત્યાર પછી શાળાના વરિષ્ઠ નેશનલ એવોર્ડ વિજેતા હિન્દી શિક્ષિકા આરાધના બહેન જી. સ્માર્ટ એ 10 મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેમજ તેનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે? તેના વિશે અનેક ઉદાહરણો, પ્રસંગ કથા, વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્યારબાદ ‘‘યે મત કહો ખુદા સે મેરી મુશ્કિલ બડી હૈ, યે મુશ્કિલ સે કહેદો મેરા ખુદા બડા હૈ” ગીત સંભળાવી સૌને મંત્ર મુગ્ધ કર્યા.
એ પછી અંત માં શાળાના પ્રભારી શ્રી, શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીગણ સૌએ સાથે મળીને ‘‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” ની ઉજવણી નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.
સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા આરાધના બહેન જી. સ્માર્ટ દ્વારાકરવામાં આવ્યું. શાળાના સૌ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.