1962, 1965 અને 1971ના યુદ્ધના સેવાનિવૃત્ત સૈનિક સિપાહી કૃષ્ણ કુમાર મિશ્રા – આઈસીજીએએસએ લીલી ઝંડી બતાવી સાયક્લોથોનને કરેલી રવાના
સાયક્લોથોનમાં કુલ 75 સાઈકલ સવારોએ લીધેલો ભાગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.11: સમગ્ર પ્રકૃતિમાં સ્વચ્છતા અને શુદ્ધતા લાવવાના વચન સાથે ‘આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ-2022’ની શરૂઆત આજથી ભારતીય કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દમણ દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છ દરિયાકિનારા અને સુરક્ષિત સમુદ્રો માટે જાગૃતિ ફેલાવવા માટે એક સપ્તાહ લાંબો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે સંઘપ્રદેશ દમણથી દાનહ સુધી એક પ્રેરક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સવારે 8:00 વાગ્યે 1962, 1965 અને 1971ના યુદ્ધનાપીઢ સેવાનિવૃત્ત સૈનિક સિપાહી શ્રી કૃષ્ણ કુમાર મિશ્રા – આઈસીજીએએસ સાયક્લોથોનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ સાયક્લોથોનમાં કુલ 75 સાઇકલ સવારોએ ભાગ લીધો હતો, જેમાં દમણ વહીવટીતંત્રના સભ્યો, સ્થાનિક સાઇકલિંગ ક્લબના પ્રતિનિધિઓ અને મેરિલ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ભારતની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અને દમણથી કલેક્ટર કચેરી, સેલવાસ અને પાછા દમણ સુધીના 75 કિલોમીટરના અંતરને આવરી લેતા ભારતના 7516 કિલોમીટરના દરિયાકાંઠાને ચિહ્નિત કરવા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ, વાપી, ભીલાડ (ગુજરાત) અને સેલવાસ સુધી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સામાન્ય લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને માર્ગમાં પસાર થતા વાહનચાલકો દ્વારા સાયકલ સવારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાયક્લોથોનનું સમાપન ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ ખાતે થયું હતું.