“તું પનોતી છે તારા પગ ઘરમાં પડયા પછી અમે બરબાદ થઈ ગયા” છે એમ કહી ત્રાસ આપતા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વાપી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા સોનમબેન (નામ બદલ્યું છે)ને સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી તેણીએ 181માં ફોન કરી મદદ માગતા 181 ટીમ જણાવેલા સરનામે પહોંચી હતી. ટીમને સોનમબેને જણાવ્યું કે, પોતે પાર્લરનું કામ કરે અને પતિ કંપનીમાં નોકરી કરે છે. બાળકોની સાર સંભાળ સાસરામાં ઘરના વડીલોએ રાખવી પડતી હોવાથી તે બાબતે મારી સાથે ઝઘડો કરતા હતા. સાસરિયાઓ મને “તું પનોતી છે તારા પગ ઘરમાં પડયા પછી અમે બરબાદ થઈ ગયા” છે એમ કહી વારંવાર મહેણા ટોણાં મારતા હતા. આ બાબતે બોલવા જતા બંને પક્ષોમાં ઝઘડો થતા ઝપાઝપી થઈ હતી. જેથી પોતે એકલી અને અસહ્ય બનતા 181ને જાણ કરી હતી. ટીમે તમામ હકીકત જાણ્યા બાદ બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સાસરી પક્ષને તેમની ભૂલ સમજાવી હતી. હવે પછી તેઓ સોનમને હેરાન પરેશાન નહીં કરશે તેવી ખાતરી 181 અભયમ ટીમને આપી હતી. જેથી સોનમે કોઈ કાર્યવાહી કરવી ન હોવાનું જણાવતા બંને પક્ષો દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું.