જાગૃતિબેન કાંકરીયા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ચિત્ર એક્ઝિબિશનમાં ભાગ લઈ વિજેતા રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્તારમાં નિવાસ કરતા જાણીતા મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાકરીયાએ તાજેતરમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં આવેલ તુલસીપીઠના જગતગુરુ રામ ભદ્રાચાર્યને રામ મંદિરનું અદભૂત સ્વરચિત પેઈન્ટિંગ અર્પણ કર્યું હતું.
અયોધ્યામાં આવેલ જાણીતા તુલસીપીઠ આશ્રમ ચિત્રકુટમાં પીઠાધિકારી જગતગુરુ રામ ભદ્રાચાર્ય લેખિત પુસ્તક વિમોચન કાર્યક્રમ હતો. આ પુસ્તક વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશના પ્રસિધ્ધ 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાપીના ખ્યાતનામ મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાંકરીયાને પણ આમંત્રણ મળ્યું હતું તેથી તેઓએ કાર્યક્રમના હિસ્સેદાર બન્યા હતા. આ પ્રસંગે જાગૃતિબેન સ્વરચિત અયોધ્યા મંદિરનું સુંદર કલાત્મક પેઈન્ટિંગ જગતગુરુ રામ ભદ્રાચાર્યને અર્પણ કર્યું હતું. જાગૃતિબેન દેશ-વિદેશમાં યોજાતા ચિત્ર એક્ઝિબિશનમાં સતત ભાગ લેતા રહેલા છે તેમજ તેમની કૃતિઓ વિજેતા રહી છે. જાગૃતિબેન છરવાડા રોડ વાપી ગુંજન રાજ રેસિડેન્સીમાં નિવાસ કરેછે.