(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.12: ભારત સરકારના સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ન્યુ દિલ્હી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આજરોજ બપોરના 4:00 કલાકે નેશનલ કેડેટ કોર્પસના કેડેટ્સ સાથે ઓનલાઈન ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઓનલાઈન નેશનલ કેડેટ કોર્પસ કેડેટ્સ સાથેના ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે-સાથે સમાજિક ન્યાય અને અધિકારિતાવિભાગના મંત્રી શ્રી વિરેન્દ્ર કુમાર પણ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઓનલાઈન કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય હેતુ સમાજમાં બહોળી સંખ્યામાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ નશાકારક પદાર્થના દુરુપયોગથી થતા નુકશાન અંગે જાગૃતતા ફેલાવવાનો હતો.
ઉપરોક્ત નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવેલ ઓનલાઈન કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યો તેમજ સંઘ પ્રદેશોના નેશનલ કેડેટ કોર્પસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ, યુવાનો/યુવતીઓએ ઉપરોક્ત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પધારેલ મંત્રીઓ દ્વારા નેશનલ કેડેટ કોર્પસ સાથે સંકળાયેલા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સહભાગીઓ સાથે ભારત સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવેલ નશા મુક્ત ભારત અભિયાન હેઠળ નશાકારક પદાર્થના દુરૂપયોગથી માનવ શરીરમાં થતા નુકશાન અંગે વિસ્તૃતમાં વાર્તાલાપ, સંબોધન અને ચર્ચા કરવામાં આવેલ હતી. વધુમાં ઉપરોક્ત અભિયાન હેઠળ નશાકારક પદાર્થોનો ઉપયોગ નહિ કરવા અને આ અંગે સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે શપથ પણ લેવડાવવામાં આવેલ હતી.
ઉપરોક્ત નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવેલ ઓનલાઈનકાર્યક્રમમાં દીવ જિલ્લામાંથી પણ નેશનલ કેડેટ કોર્પસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ તેમજ યુવાનો/યુવતીઓએ સહભાગી થઈ ભારત સરકારના સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ન્યુ દિલ્હી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આયોજિત ઓનલાઈન કાર્યક્રમમાં જોડાઈ ભારત સરકાર દ્વારા વિવિધ રાજ્યો તેમજ સંઘ પ્રદેશોના જિલ્લાઓમાં નશા મુક્ત ભારત અભિયાનનો અમલીકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમજ વિવિધ પ્રકારના નશાકારક પદાર્થના દુરુપયોગથી થતા નુકશાન અંગે વિગતવાર માહિતી પ્રાપ્ત કરેલ હતી. ઉપરોક્ત સમગ્ર ઓનલાઈન કાર્યક્રમમાં દીવ જિલ્લા અધિક જિલ્લાધીશ શ્રી ડૉ. વિવેકકુમાર, સહાયક શિક્ષા નિર્દેશક શ્રી આર. કે. સિંઘ, એકેડેમિક કો-ઓર્ડીનેટર શ્રી ડૉ. હર્ષદકુમાર તથા એન.સી.સી. ઓફિસર શ્રી ડૉ. આકાશ્કુમાર સૌંદરવા વગેરે અધિકારીઓના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લાના નેશનલ કેડેટ કોર્પસના કેડેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.