April 17, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

(ભાગ-7)
લોકસભાની 1998ની ચૂંટણીથી તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે રાજકીય પક્ષો સાથે વિશ્વાસઘાતની પણ કરેલી શરૂઆત

દમણમાં શરૂ થયેલી કૌભાંડોની હારમાળા અને સીબીઆઈના દરોડા વચ્‍ચે તત્‍કાલિન પ્રશાસક શ્રી કે.એસ.બૈદવાનની 28માર્ચ, 1994ના રોજ બદલી થતાં તેમના સ્‍થાને શ્રી રમેશ ચંદ્ર નામના આઈ.એ.એસ. અધિકારીએ અખત્‍યાર સંભાળ્‍યો હતો. શ્રી રમેશ ચંદ્રનો કાર્યકાળ માંડ 1 વર્ષઅને 4 મહિના જેટલો રહ્યો હતો. તેમની 15 જુલાઈ, 1995ના રોજ બદલી થઈ હતી. પરંતુ સવા વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી રમેશ ચંદ્રએ પોતાની એક આગવી છાપ ઉભી કરી હતી, તેઓ ખાવા-પીવાના ભારે શોખીન હતા. શ્રી રમેશ ચંદ્રના આગમન સાથે તત્‍કાલિન એક કોંગ્રેસી મહિલા નેતાનું રાતોરાત ભાગ્‍ય પરિવર્તન થયું હતું. પરંતુ શ્રી રમેશ ચંદ્ર અને દાદરા નગર હવેલીના તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર વચ્‍ચે મનમેળ શક્‍ય નહીં બન્‍યો હતો. સેલવાસમાં સ્‍થપાનારી એક મોટી ઈન્‍ડસ્‍ટ્રીઝના મુદ્દે બંનેની અણબન આમને સામને આવી ગઈ હતી. તે વખતે કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર અને સાંસદ પણ કોંગ્રેસના હોવાના કારણે શ્રી મોહનભાઈ ડેલકરે તત્‍કાલિન પ્રશાસક શ્રી રમેશ ચંદ્રનો સેલવાસ સચિવાલયમાં ઘેરાવ કર્યો હતો અને પ્રશાસકશ્રીને દમણથી એક હોટેલરિયનની ગાડીમાં સચિવાલયની પાછળ સીડી લગાવી ઉતરી ભાગવાની ફરજ પડી હતી. પરંતુ જતા જતા પણ શ્રી રમેશ ચંદ્ર પોતાનું ધારેલું જ કરીને ગયા હતા. તેમની બદલી બાદ પ્રશાસક તરીકે શ્રી એસ.પી.અગ્રવાલે 15 જુલાઈ, 1995ના રોજ પોતાનો અખત્‍યાર સંભાળ્‍યો હતો.
શ્રી એસ.પી.અગ્રવાલના કાર્યકાળમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મોટાભાગના નેતાઓના દિવસો સુધરી ગયા હતા. તેમના પ્રેક્‍્‌ટીકલ અભિગમના કારણે ઉદ્યોગોની હપ્તાખોરીમાં પણ તેજીઆવી હતી. નવરાત્રિના ઉત્‍સવે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સેલવાસનું નામ ગુંજતું કરી દીધું હતું. સેલવાસમાં આકર્ષક નવરાત્રિ ઉત્‍સવનું આયોજન થવા લાગ્‍યું હતું અને તે માટે ઉદ્યોગોના પ્રતિનિધિઓ રાજકારણીઓના કાર્યાલયે બ્રિફકેસ ભરી ભરીને રૂપિયાના થોકડાં ઠાલવતા હતા.
તત્‍કાલિન પ્રશાસક શ્રી એસ.પી.અગ્રવાલે દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક રાજકારણીઓ સાથે ભાગીદારી ધંધા પણ શરૂ કરેલા હોવાની આજે પણ વ્‍યાપક બૂમ છે. 1996માં થયેલી લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર શ્રી દેવજીભાઈ ટંડેલનો પરાજય થયો હતો અને તેમના સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા)નો ભવ્‍ય વિજય થયો હતો. શ્રી ગોપાલ દાદાની લોકસભામાં બીજી ઈનિંગ હોવાથી લોકોની પણ તેમના ઉપર ઘણી અપેક્ષા હતી. શ્રી ગોપાલ દાદાએ સાંસદ તરીકેની પહેલી ઈનિંગમાં દેવકા બીચના વિકાસ તરફ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું હતું. બીજી ઈનિંગમાં કડૈયા લેક તથા કચીગામ સરોવર ઉદ્યાનના વિકાસ ઉપર પોતાનું ફોકસ રાખ્‍યું હતું. પરંતુ પોતાના કેટલાક સાથીદારોના કારણે શ્રી ગોપાલ દાદા વિવાદમાં પણ રહ્યા હતા.
1998માં કોંગ્રેસના તત્‍કાલિન પ્રમુખ શ્રી સીતારામ કેસરીના વલણ સામે રાજીનામું આપી શ્રી ગોપાલ દાદા અને શ્રીમોહનભાઈ ડેલકરે કોંગ્રેસને રામ રામ કર્યા હતા. 1998ની ચૂંટણીમાં ભાજપે શ્રી ગોપાલ દાદાને ટિકિટ નહીં આપવા છતાં તેઓ પક્ષની સાથે રહ્યા હતા અને ફરી એકવાર દમણ-દીવ બેઠક ઉપરથી શ્રી દેવજીભાઈ ટંડેલ ચૂંટાઈ આવ્‍યા હતા. દાનહ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે શ્રી મોહનભાઈ ડેલકરનો ભવ્‍ય વિજય થયો હતો અને તેમણે પોતાની વફાદારી બદલવાની શરૂઆત પણ કરી હતી. 1998માં પ્રધાનમંત્રી તરીકે શ્રી અટલ બિહારી વાજપેયીની સરકારમાં દાનહના તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરને પ્રધાન પદ નહીં મળતાં 13 મહિના બાદ આવેલી 1999માં આવેલ ચૂંટણીમાં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નસીબ અજમાવી સફળ પણ થયા હતા.
1998ની ચૂંટણીમાં દાભેલ ખાતે દમણ-દીવ બેઠકના તત્‍કાલિન અપક્ષ ઉમેદવાર શ્રી ડાહ્યાભાઈ પટેલના જૂથ જોડે થયેલ ધિંગાણા બાદ શ્રી મોહનભાઈ ડેલકરે તત્‍કાલિન પ્રશાસક શ્રી એસ.પી.અગ્રવાલ જોડે બગાડી તેમની બદલી કરાવવા પોતાની શક્‍તિ કામે લગાવી હતી. 1998ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલનો પરાજય થયો હતો અને ફરી એકવાર શ્રી દેવજીભાઈ ટંડેલ ભાજપની ટિકિટ ઉપર વિજેતા બનવા સફળ રહ્યા હતા. પરંતુ 13 મહિના બાદ જ આવેલી સંસદની ચૂંટણીમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના એક નવા અધ્‍યાયનો પણ પ્રારંભથયો હતો.

Related posts

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment