(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત તા. 29 ઓગસ્ટ 2022 થી શરૂ થયેલ તિરંદાજી તાલીમ શિબિર કાર્યક્રમનું સફળ સંચાલન કેમ્પસ સ્પોર્ટ્સ હેડ પ્રિયંક પટેલના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યુ હતું. શરૂ થયેલ તિરંદાજી તાલીમ શિબિર કાર્યક્રમ 12-09-2022નાં રોજ સોમવારે વાપી-ડુંગરા પોલીસ મથકનાં અધ્યક્ષ પી.એસ.આઈ. રમેશ કુમાર પ્રજાપતિની હાજરીમાં થયો હતો અને આ અવસર પર તેમણે વિદ્યાર્થિનીઓ, મહિલા શિક્ષકો સહિત ઉપસ્થિત તમામને સંબોધન કરતા જણાવ્યુ હતું કે સમાજમાં બનતી મહિલાઓ સાથે શોષણ અને અત્યાચારની ઘટનાઓને રોકવા માટે નારી સશક્તિકરણ સાથે સ્વરક્ષણ જાગૃતિ કેળવાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા નારીઓના ઉત્થાન માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તેમજ નારીઓના રક્ષણ માટે પોલીસતંત્ર પણ ખડે પગે ઉભુ છે.
વધુમાં કેમ્પસ ડિરેક્ટર ડૉ.શૈલેષ લુહારે બેટી બચાવો બેટી પઢાવોની સાથે જણાવ્યુ હતુ કે, મહિલાઓએ ઈન્ટરનેટ ઉપર પોતાના પસર્નલ ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાથીબચવુ જોઈએ.
આ અવસરે વિશેષ ઉપસ્થિત રહેલા ઈન્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ડાયરેકટરશ્રી ગોસ્વામીશ્રીએ જણાવ્યુ હતુ કે તિરંદાજી જેવી સાહસી તાલીમ શિબિરોનું આયોજન વારંવાર શાળાઓમાં કરવામાં આવવું જોઈએ. જેના થકી વિદ્યાર્થિનીઓનાં આત્મવિશ્વાસમાં વધારો થવા સાથે સ્વરક્ષણ તાલીમ મેળવી વધુ સક્ષમ બનવા સાથે વિપરિત સંજોગોનો સામનો સરળતાથી કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓએ કોઈ પણ સોશિયલ મીડિયા તેમજ મોબાઈલનો સમજદારીની સાથે સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ.
આ સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયેલ તિરંદાજી તાલીમ શિબિરમાં સંસ્થામાં ભણતી 82 જેટલી વિદ્યાર્થિનીઓએ તિરંદાજી તાલીમનો લાભ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે યોજાયેલા 15 દિવસીય તાલીમ શિબિરના સમાપન સમારોહમાં પ.પૂ. રામસ્વામીએ નારી સશક્તિકરણ વિશે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતુ. કાર્યક્રમમાં ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા, ડાયરેકટરશ્રી ડૉ.શૈલેષ લુહાર સહિત આચાર્યગણોમાં ડૉ.સચિન નારખેડે, શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી દક્ષાબેન પટેલ, શ્રીમતી મિનલબેન દેસાઈ, શ્રીમતી આશાબેન દામા, શ્રીમતી રીનાબેન દેસાઈ, શ્રીમતી નીતુ સિંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.