ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ મેમ્બર રાજેશ શાહે કરેલ લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના ચિકન શોપ અને મટન શોપનો વ્યાપ મોટા પ્રમાણમાં વધ્યો છે તેથી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ તેમજ લાયસન્સ વગર કાર્યરત હોય તેમની સામે કાર્યવાહી કરવાની માંગ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ મેમ્બર શ્રી રાજેશ હસ્તીમલ શાહ વાપીએ કલેક્ટર વલસાડને લેખિત રજૂઆત કરી છે કે ઠેર ઠેર ચાલી રહેલા ગેરકાયદે કતલખાના અને ચિકન-મટન શોપનો તાકીદે સર્વે કરાય અને કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમણે કરેલી રજૂઆત મુજબ અન્ય રાજ્યોમાંથી તડીપાર કરાયેલ ક્રિમિનલ તત્ત્વો જ્યાં ત્યાં આશરો મેળવી મોટા પાયે આ વ્યવસાય કરતા હોય છે તેથી જિલ્લામાં દરેક પંચાયત કે પાલિકાના તાબામાં આવતા વિસ્તારોમાં ફુડ એન્ડ ડ્રગ સેફટી અને પ્રાણી ક્રુરતા અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદેસર ચાલતી હાટડીઓને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.