(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની નવી કલેક્ટર કચેરીના એ-વિંગમાં ત્રીજા માળે સોશિયલ વેલ્ફેર વિભાગની કચેરીની ફૉલ સિલિંગ અચાનક તૂટીને નીચે પડી ગઈ હતી. જે સમયે આ ઘટના બની ત્યારે કોઈ જ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત નહીં હતા. સવારે રાબેતા મુજબ એક કર્મચારીએ ઓફિસનો જેવો દરવાજો ખોલ્યો તેની સાથે છત ધડામ થઈને તૂટી પડી હતી. સદ્નશીબે કચેરીમાં કોઈ પણ વ્યક્તિ હાજર નહીં હોવાને કારણેકોઈને ઈજા થવાની કે જાનહાનીની ઘટના ટળી હતી. પરંતુ આ ઘટનાથી બાંધકામની ગુણવત્તા પર સવાલ જરૂર ઉભા થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ સેલવાસ ખાતેની નવી કલેક્ટર કચેરીના ત્રીજા માળની ફૉલ સિલિંગ આજે સવારે ધડામ દઈને તૂટી પડી હતી. આ બિલ્ડિંગમાં ફર્નિચર સહિત બીજા કામો બાકી હોવાને કારણે જાન્યુઆરી 2024 પછી કલેક્ટર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેસતા થયા હતા. આ છતના નિર્માણને હજુ એક વર્ષ પણ નથી થયું ત્યા અચાનક તૂટી પડતાં ગુણવત્તા સામે ઘણાં સવાલો ઉભા થઈ છે.