ખરાબ રસ્તાઓના સંદર્ભમાં સંસદમાં રજૂઆત કરવા છતાં પણ નહીં મળેલું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાને પ્રદેશના બિસ્માર રસ્તાઓના સમાધાન લાવવા માટે લેખિત રજૂઆત કરી છે.
સાંસદ શ્રી કલાબેન ડેલકરના જણાવ્યા મુજબ દાનહના ઇતિહાસમાં પ્રથમવાર પ્રદેશની દરેક પંચાયત અને નગરપાલિકાના તમામ રસ્તાઓની હાલત દયનિય છે. પ્રદેશના તમામ વિસ્તારમાં એક પણ રસ્તો ખાડા વગરનો રહ્યો નથી. પ્રદેશની તમામ જનતા રસ્તાઓની આ હાલતથી ત્રસ્ત થઈ ચુકી છે. વરસાદની ઋતુમાં રસ્તાઓ ઉપર જાણે કે તળાવ હોય એવા નજારા જોવા મળે છે.
ખખડધજ રસ્તાઓ મુદ્દે અગાઉ પણ પ્રતિક્રિયા જાહેર કરી હતી. તા.5/8/2022ના રોજ સંસદમાં પણ પ્રદેશના ખરાબ રસ્તાઓ અને પ્રદેશની જનતાની મૂળભૂત સુવિધાઓનો લાભ નહીં મળવા અંગે સરકારને અવગત કરવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તા.7/11/22ના તત્કાલીન પ્રશાસકશ્રીના સલાહકારને પત્રલખી રસ્તાઓના નવીનીકર-મરામ્મત માટે માંગ કરી હતી અને તા.11 મેના રોજ કલેક્ટરશ્રીને પત્ર લખી ફરી ચોમાસા પહેલાં રસ્તાઓને રીપેર કરવાની માંગ સાથે દરેક વિભાગમાં વારંવાર પત્ર લખી અને સદનમાં પણ આ મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ કામ થઈ જશે એવા આશ્વાસનો જ મળતા રહ્યા છે.
પ્રદેશની જનતા ખખડધજ અને દયનિય રસ્તાઓના કારણે પરેશાન છે. તેઓ જણાવી રહ્યા છે કે, દાનહની આઝાદી બાદ પહેલીવાર એવું જોવા મળે છ કે તમામ વિસ્તારના મોટાભાગના રસ્તાઓ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે.
સેલવાસ નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં ખખડધજ રસ્તા તથા ડિવાઈડર અને સ્ટ્રીટલાઈટના અભાવે દુર્ઘટનાઓ થઈ રહી છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. મહેરબાની કરીને પ્રદેશની જનતાને કનડતી વિવિધ સમસ્યાઓના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવે અને લોકોની ભલાઈ માટે રસ્તાઓની મરામ્મત કરવા અનુરોધ કરીએ છે.