-
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસનને મળેલી સફળતા
-
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અત્યાર સુધી ભીમપોર, કચીગામ, દાભેલ સહિત અન્ય ગામોની 22 કિ.મી. જેટલી સરકારી જમીનો અને નહેર ઉપર કરાયેલા અતિક્રમણો મુક્ત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: દમણ જિલ્લા પ્રશાસને આજે ભીમપોર ખાતે એક કિલોમીટર જેટલી લાંબી નહેર ઉપર ગેરકાયદે રીતે કરેલા બાંધકામને હટાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા પ્રશાસનના રેવન્યુ અને પીડબ્લ્યુડી વિભાગના સંયુક્ત ડિમોલીશન અભિયાનની ભીમપોર ખાતે કાર્યરત વિન્ડવર્લ્ડ કંપની અને આજુબાજુના અન્ય ખાનગી વ્યક્તિઓ દ્વારા સરકારી જમીનો ઉપર પોતાના પરિસરની દિવાલ તથા ગોદામ અને ચાલના કરેલા બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ હટાવવા શરૂ કરાયેલા અભિયાનમાં કચીગામ, ભીમપોર, દાભેલ સહિત અન્ય ગામની લગભગ 22 કિલોમીટર જેટલી સરકારી જમીનો અને નહેર ઉપર કરાયેલાઅતિક્રમણોને મુક્ત કરાયા છે.
દમણ જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને આ અખબારી યાદી દ્વારા સુચના આપી છે કે, જો કોઈ વ્યક્તિ કે કંપની દ્વારા સરકારી જમીન અથવા નહેર ઉપર કોઈ અતિક્રમણ કરાયું હોય તો તે સ્વયં તાત્કાલિક દૂર કરે નહીં તો પ્રશાસન દ્વારા અતિક્રમણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસન સફળ રહ્યું છે.