-
દાનહ જિ.પં.માં 15 સભ્યો ઉપરાંત પ્રદેશ જનતા દળ (યુ)ના અધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણ અને પ્રદેશના યુનિટે ભાજપની વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી બાંધેલી કંઠી
-
સેલવાસના ડોકમરડીથી શરૂ થયેલી જન આશીર્વાદ રેલી દરમિયાન ધોધમાર વરસાદ પડવા છતાં ભાજપના કાર્યકરોએ જોમ અને જુસ્સા સાથે રેલીને આપેલી ગતિઃ સ્થાનિક જનતાના પણ મળેલા આશીર્વાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં 15 સભ્યો ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ (યુ)ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ અને સમગ્ર પ્રદેશ યુનિટે વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી ભાજપનું દામન પકડતાં આજે વિશાળ જન આશીર્વાદ યાત્રાનું આયોજન સેલવાસના ડોકમરડીથી વિવિધ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવ્યું હતું. જ્યાં ભારે વરસાદ હોવા છતાં જન આશીર્વાદ યાત્રા અવિરત ચાલુ રહી હતી અને સ્થાનિક લોકોએ પણ વરસતા વરસાદમાં જન આશીર્વાદ યાત્રાને આદર-સત્કાર આપવા માટે રસ્તા ઉપર ઉભા રહી ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં થયેલા સત્તા પરિવર્તન બાદભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોનું મનોબળ પણ ખુબ ઊંચું આવ્યું હોવાનું દેખાય છે.
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્યા રહાટકરના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં રેલીની આગેવાની નવનિયુક્ત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે કરી હતી.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં થયેલા સત્તાપલ્ટા બાદ પ્રદેશની રાજનીતિ પરિવારવાદના ચુંગાલમાંથી છુટી હોવાની લોકલાગણી વ્યક્ત થઈ રહી હતી. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે સ્પષ્ટતા કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, પહેલાં જિલ્લા પંચાયતના સભ્યોને ક્યાં જવું, કોની પાસે જવું અને ક્યારે જવું તે બધી બાબતો એક પરિવાર દ્વારા નક્કી થતી હતી. જ્યારે ભાજપમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસથી સૌનો વિશ્વાસ બુલંદ બન્યો છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સહિત પ્રદેશ વિકાસની બુલંદી સર કરી રહ્યો છે ત્યારે દાદરા નગર હવેલી શા માટે બાકાત રહે? હવે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપર પણ ભાજપનું શાસન આવવાથી ત્રિપ્પલ એન્જિનની શક્તિ પ્રદેશને મળશે.
ડોકમરડીથી લઈ બાવિસા ફળિયા સેલવાસ માર્કેટથી નરોલી, લુહારી, ખરડપાડા, સામરવરણી, મસાટ થઈ રખોલી,દપાડા, સુરંગી, ખાનવેલ, માંદોની, સિંદોની, કિલવણી, રાંધા સહિત દાદરા નગર હવેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાંથી રેલી પસાર થઈ હતી.
રેલીના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોને પણ અહેસાસ થયો હતો કે તેમને અત્યાર સુધી પરિવાર દ્વારા ગુમરાહ કરવામાં આવી રહ્યા હતા. હવે પરિવારવાદની રાજનીતિથી દાદરા નગર હવેલી આઝાદ થઈ રહ્યું હોવાની લાગણી વ્યક્ત થઈ હતી.
આ રેલીમાં સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, શ્રી દિપક પ્રધાન સહિત તમામ સભ્યો ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશ ગાવિત, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ભાજપના નેતા શ્રી વિશાલ ટંડેલ, સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉત, ભાજપ અનુ.જનજાતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી રમેશભાઈ કડુ, શ્રી રાજેશ વરઠા, વિવિધ મોર્ચાના અધ્યક્ષો, મહિલા શક્તિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો.