(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: આજે રખોલી ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના ઉપલક્ષમાં સરપંચશ્રીમતી ચંદનબેન પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં રખોલી ખાડીપાડા નદી કિનારા સાઈટ, રખોલી પુલથી મેઈન રોડની બંને બાજુ તથા રખોલી ભિલોસા કંપની સુધી તથા કરાડ વડપાડા ખાતે સફાઈ કરવામાં આવી હતી.
કરાડ વડપાડા ખાતે જાહેર શૌચાલયની આજુબાજુ પણ સફાઈ કરી સ્વચ્છ દાદરા નગર હવેલીનો જયઘોષ કરાયો હતો.
આ કાર્યક્રમમાં રખોલી ગ્રામ પંચાયતના સભ્યો, પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સહિત ગ્રામજનો પણ જોડાયા હતા.
દાનહના જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ આજે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.