કંપની કાટમાળ નીચે તપાસ કરતા ત્રણ કામદારો અર્ધ બળેલા મળી આવેલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: શુક્રવારે વાપી જીઆઈડીસી સ્થિત સુપ્રિત કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાંલાગેલી આગની ઘટનામાં ત્રણ કામદારો બળીને ભડથુ થઈ ગયા હોવાની શોકજનક ઘટના શનિવારે પ્રકાશમાં આવી હતી.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ સુપ્રિત કેમિકલ કંપનીના યુનિટ-3માં ભિષણ આગ લાગી હતી. 10-12 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ નાઈટશીપમાં ત્રણ કામદારો ઘરે પહોંચ્યા નહોતા તેથી પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી પોલીસે કરેલી શોધખોળમાં ત્રણ કામદારોની અર્ધ બળેલી લાશ મળી હતી. શનિવારે તમામની લાશ પી.એમ. માટે ચલા સી.એચ.સી. ખાતે ખસેડાઈ હતી અને પી.એમ.ની તજવીજ હાથ ધરાઈ હતી. મૃત્યુ પામનારાઓમાં મોહંમદ અસલમ મોહંમદ વાહીમ (ઉ.વ.39) રહે.કોચરવા, રાજુ લક્ષ્મણ પ્રજાપતિ (ઉ.વ.26) રહે.કરવડ, અનિલ ફોજદારી પ્રસાદ જયશ્વાલ (ઉ.વ.45) રહે.કોચરવા, કોળીવાડ નામના કામદારોની પોલીસને અર્ધ બળેલી લાશ મળી આવી હતી.