(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી તાલુકામાં 700 – ની આસપાસ રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી સાથે અધિકારીઓની મનમાની વચ્ચે ચૂંટણી ટાણે જ વિવાદ વકરે તેવો ઘાટ સર્જાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકામાં 81- જેટલી સસ્તા અનાજની દુકાનો છે. અને હાલે 33 હજારની આસપાસ રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહ્યું છે. જેમાં હાલેકેટલાક દિવસ પૂર્વે કોઈપણ જાતના સર્વે વિના દસ કે તેથી વધુ સભ્યો જે રેશનકાર્ડમાં હોય તેવા રેશનકાર્ડોમાં અનાજ બંધ કરી દેવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત તાલુકામાં પડ્યા હતા. આ સિવાય પણ કેટલાક રેશનકાર્ડમાં અનાજ બંધ થઈ જતા તાલુકામાં આ આંકડો 700 ની આસપાસ પહોંચી જવા પામ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવતા અને ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા અધિકારીઓ સામે કડક વલણ દાખવી ફટકાર લગાવતા 300-જેટલા રેશનકાર્ડમાં અનાજ ફરી શરૂ કરી દેવાયું હતું. પરંતુ હાલે પણ સંખ્યાબંધ રેશનકારોમાં અનાજ બંધ હોવાનું જાણવા મળ્યું હતું તેવામાં ઘણા ગરીબ મધ્યમ પરિવારોની હાલત કફોડી થવા પામી છે. અને લોકોમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળી રહ્યો હતો.
રેશનકાર્ડના સભ્યો પૈકી તમામનું આધાર વેરીફીકેશન બાકી હોય કે ત્રણ મહિનાથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય તેવા કોઈ પણ કારણ હોય પરંતુ અચાનક આ પ્રકારે 700 ની આસપાસ રેશનકારોમાં અનાજ બંધ થવા માટે જવાબદાર કોણ? અને ખાસ કરીને ચૂંટણી ટાણે આ વિવાદ ઉભો કરવાની ચેષ્ટા કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મામલતદાર કચેરીના પુરવઠા શાખાનીનાની મોટી ફરિયાદો વધી જવા પામી છે. ત્યારે આ અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગંભીરતા દાખવશે કે કેમ તે જોવું રહ્યું.
જિલ્લા પુરવઠા અધિકારી આર.સી.પટેલના જણાવ્યાનુસાર રેશનકાર્ડમાં દસ કરતા વધારે સભ્યો હોય અને તમામ સભ્યોના આધારકાર્ડ વેરિફિકેશન ન થયેલા હોય અને ત્રણ મહિના સુધી ટ્રાન્જેક્શન ન થયેલ હોય તેવા રેશનકાર્ડમાં અનાજ બંધ થયું હતું અને જે આંકડો 700-ઉપરનો હતો. પરંતુ અમે 300-જેટલા રેશનકાર્ડમાં ચાલુ કરાવી દીધું છે. બાકીનામાં પણ આધારકાર્ડ વેરિફિકેશન કરાતા ચાલુ થઈ જશે.