(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સરીગામ, તા.20: ઉમરગામ તાલુકામાં માલધારી સમાજના અગ્રણીઓએ આજરોજ એકત્રિત થઈ રાજ્ય સરકારની ઢોર નિયંત્રણ અને ગોચરણ જમીનને ખાલી કરાવવાના મુદ્દે અપનાવેલી ઢીલી નીતિ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સમાજના અગ્રણી શ્રી કરસનભાઈ ભરવાડે એમના ગુરુઓ તરફથી મળેલા આદેશને સરકાર સમક્ષ મુકતા જણાવ્યું હતું કે આવતીકાલે તમામ માલધારી સમાજના યુવાનો દૂધનું વિતરણ નહીં કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. આ તબક્કે સરકારશ્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે રખડતા ઢોર પાસે રોડ ઉપર બેસવા કે ઊભા રહેવા સિવાય જગ્યા નથી જેથી ગૌચરની જમીન સરકારશ્રી ખાલી કરાવી આપે.
અત્રે નોંધનીય છે કે, રખડતા ઢોર નિયંત્રણ કાયદો અમલમાં લાવ્યા બાદ માલધારી સમાજમાં સરકાર સામે પ્રચંડ વિરોધ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરેક તાલુકામાં ગૌચરની જમીન ઉપર રાજકીય વગ ધરાવતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રત્યક્ષ કે પરોક્ષ કબજે કરેલાઓનું ઘણીવાર પ્રકાશમાં આવ્યું છે. જેમાંથી ઉમરગામ તાલુકો પણ બાકાત નથી. ધોડીપાડા, સરઈ ફાટક, સોળસુંબા, દેહરી, સંજાણ સહિતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ગેરકાયદેસર જમીન કબજે કરેલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને સરકાર સમક્ષરજૂઆતો પણ કરવામાં આવેલી છે.