નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી તેમજ આંતરરાષ્ટ્રીય તટીય સફાઈ દિવસ નિમિત્તે ગ્રામ પંચાયત દ્વારા ગામના દરિયા કિનારે તેમજ અન્ય જાહેર વિસ્તારમાં સફાઈ અભિયાન કાર્ય હાથ ધરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.20: ગ્રામ પંચાયત નારગોલ દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે મળી નારગોલ ગામની અંદર મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટેની કામગીરીને વેગ આપ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયત નારગોલના સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ નારગોલ ગામ વિસ્તારમાં મેગા સફાઈ અભિયાનનું આયોજન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તેમજ આંતરરાષ્ટ્રીય તટિય સફાઈ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સંઘ સહિત નારગોલ ગામની સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓ, મરીન પોલીસ નારગોલના જવાનો સહિત નારગોલ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલ, ગામના માજીસરપંચશ્રીઓ, ચૂંટાયેલા પદ અધિકારીઓ, વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો, મહિલા આગેવાનોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત નારગોલ ગામના બજાર વિસ્તારમાં આવેલી તમામ દુકાનોને ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે કચરાપેટી વિતરણ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ નારગોલ-માંગેલવાડ બીજ ખાતે પહોંચી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ દરિયાઈ કિનારે સફાઈ કાર્ય હાથ ધર્યું હતું તેમજ ગામ લોકો દ્વારા દરેક વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં બારીયા સમાજના યુવાનો અને વડીલો દ્વારા નારગોલ ચોર તલાવડી વિસ્તારમાં આવેલ સ્મશાનભૂમિ ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
આવનારા દિવસોમાં નારગોલને ઝીરો ડમ્પિંગ સાઇટ ધરાવતું ગામ બનાવવામાં આવશે તેવી ખાત્રી ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી ભંડારીએ ગ્રામજનો સમક્ષ આપી હતી. મેગા સફાયા અભિયાન સતત એક અઠવાડિયા નારગોલ ગામમાં ચાલુ રહેશે. ગામના માજીસરપંચ જયપ્રકાશ ભંડારીએ સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી હતી.