દિનેશ નવિનભાઈ પટેલ (28) ઉપર જુની અદાવતમાં ગૌરવ રાઠોડ અને સાગરિતો હુમલો કરી ભાગી છૂટયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: નવરાત્રી મહોત્સવના અંતિમચરણમાં વલસાડના એસ.ટી. વર્કશોપ ગ્રાઉન્ડમાં આયોજીત થયેલા ગરબામાં મંગળવારે રાત્રે એક યુવક ઉપર ચાકૂથી હુમલો થતા ગરબામાં ભાગદોડ મચી જવા પામી હતી.
વલસાડ અબ્રામા એસ.ટી. કોલોની પ્રગતિ મંડળ આયોજીત ગરબા મહોત્સવમાં ગતરાત્રે ઝરણા પાર્કમાં રહેતો 28 વર્ષિય યુવાન દિનેશ નવિનભાઈ પટેલ નિત્યક્રમ મુજબ ગરબા રમવા ગયો હતો. દિનેશને થાક લાગતા સાઈડ પર આવી ઉભો હતો ત્યારે અચાનક પાછળથી તેના ઉપર ઉપરા ઉપરી ચાકુના ઘા કરી હુમલાવરો ફરાર થઈ ગયા હતા. ઘાયલ દિનેશને તાત્કાલિક સિવિલમાં અને ત્યાંથી કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી. ઘાયલ દિનેશે પોલીસને જણાવ્યું હતું કે હુમલો કરનાર ગૌરવ રાઠોડ ઉર્ફ દંગો અને સાગરિતો હતા. તે કંપનીમાં નોકરી કરે છે અને ઘરે દારૂનું વેચાણ કરે છે. પોલીસે જુની અદાવતનો ગુનો નોંધી આરોપીઓની વધુ તપાસ હાથ ધરી હતી.