(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: રાજ્યના ગરીબોને રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળેથી વચેટિયા વિના સીધેસીધા તેમને મળે તે માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ ગરીબ કલ્યાણ મેળા શરૂ કર્યા હતા. જે અંતર્ગત રાજ્યના મુખ્યનમંત્રીશ્રીભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં તા.14મી ઓકટોબરથી શરૂ થયેલા ગરીબ કલ્યાયણ મેળા અંતર્ગત આજે વલસાડ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો પારડી કુમાર શાળાના મેદાન ખાતે યોજાનાર છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા રૂા. 2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 ગ્રામ પંચાયતોના ભવનોનું લોકાર્પણ થનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પંચાયતો માટે નવીન ભવન તૈયાર કરવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પણ ગ્રામપંચાયતોના નવા મકાનો બની રહ્યા છે.
આ લોકાર્પણ થયેલા ગ્રામપંચાયતોના નવા મકાનો બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રકલ્પો હેઠળ ગ્રામપંચાયતોના નવા ભવનો બની રહ્યા છે. જેમાં ગ્રામ્યજનોને ગ્રામ્યકક્ષાએ તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે જિલ્લા પંચાયત કટિબધ્ધ છે. આ નવા ભવનો માટે આ ગ્રામપંચાયતના તૈયાર થયેલા નવા મકાનમાં તલાટી કમ- મંત્રીને આવાસની સુવિધા રાખવામાં આવી છે તેમજ ગ્રામ્યજનોને ગ્રામ્યકક્ષાએ તમામ પ્રકારની સુવિધાઓ ડીજીટલી મળે તે માટે ઈ-ગ્રામ સેન્ટર પણતૈયાર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં જે 15 ગ્રામ પંચાયતોના નવા મકાનો તૈયાર થયા છે તેમાં સરકારશ્રીની નાણાં પંચ અને મનરેગાની ગ્રાન્ટ, 100 ટકા મનરેગાની તેમજ સી.ડી.પી.-5 (માર્ગ અને મકાન વિભાગ)ની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે. જે વિગતે જોઈએ તો આ મકાન ગ્રામપંચાયત દીઠ રૂા. 14 લાખ પ્રમાણે તૈયાર થયા છે. જિલ્લામાં તાલુકાવાર જોઈએ તો કપરાડા તાલુકામાં તેરી ચીખલી, દાબખલ, કાજલી, પાંચવેરા, ઓજર, સુલીયા અને પાનસ એમ 7, ઉમરગામ તાલુકામાં કાલઈ, નંદીગામ અને ટીંભી એમ 3 પારડી તાલુકામાં મોતીવાડા અને સોનવાડા એમ 2, તેમજ વલસાડમાં દિવેદ, વાપીમાં પંડોર અને ધરમપુરમાં મોટી ઢોલ ડુંગરીનો સમાવેશ થાય છે.