(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં આવેલ એક કિરાનાની દુકાનમાં શનિવારની રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવાપામી હતી. દુકાનનો સરસામાન બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન થયાનો અંદાજ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરસાડીમાં જય બાણેશ્વરી કિરાના સ્ટોર્સ નામની દુકાન માલિક કાન્તીભાઈ માલી ચલાવી રહ્યા છે. શનિવારે રાત્રે રાબેતા મુજબ કાન્તીભાઈ તેમની દુકાન બંધ કરીને ઘરે નિકળી ગયા હતા ત્યારે મોડી રાતે દુકાનમાંથી ધુવાડાના ગોટેગોટા દેખાતા આજુબાજુવાળાઓ કાન્તીભાઈને જાણ કરી હતી તેમજ સ્થાનિક પાણીની સગવડ મુજબ આગ બુઝાવવાની કોશિષ શરૂ કરી દીધી હતી. કાન્તીભાઈ ઘરેથી દુકાન દોડી આવ્યા હતા. તુરત પોલીસને જાણ કરવાની કોશિષ કરેલી પણ ફોન લાગ્યો નહોતો. અંતે જેમ તેમ કરી આગને લોકોએ બુઝાવી હતી. આગમાં લાખોનો સરસામાન બળીને ખાખ થઈ ગયાનું અનુમાન દુકાન માલિકે આપ્યું હતું.