વલસાડ તા.૦6: ભારત સરકારના જળ શક્તિ/પેયજળ સ્વછતા મંત્રાલયના વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત શૌચાલયોનો લાભ ભારત સરકાર તરફથી તમામ રાજ્યોમાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના તમામ ગામોમાં વ્યક્તિગત શૌચાલયનો લાભ આપવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યને પરિપૂર્ણ રીતે પાર પાડવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ અને અતુલ કંપની પ્રા. લિ.ના એકબીજાના પરસ્પર હકારાત્મક અભિગમ અપનાવી ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત સ્થિતિને જાળવી રાખવા માટે શૌચાલયનો દરવાજો જર્જરિત હોય, દીવાલમાં તિરાડ/ દીવાલ પડી ભાંગી હોય, બે શોષખાડાની જગ્યાએ એક જ શોષખાડો હોય, પાણીની ટાંકી તેમજ નળ કનેક્ષન જેવી જર્જરીત અવસ્થામાં હોવાથી ખુલ્લામાં શૌચક્રિયાને મુક્ત કરવા માટે શૌચાલયોની પુનઃરચના/ પુનઃનિર્માણ માટેની સુધારાની કામગીરી કરાશે. આ કામગીરીને રેટ્રોફિટિંગ કહેવામા આવે છે.
વલસાડ જિલ્લાના ગામોમાં અતુલ કંપની હસ્તક કુલ – ૩૬૭ જર્જરિત વ્યક્તિગત શૌચાલયો કંપનીના સી.એસ.આર. ફંડ હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને વ્યક્તિગત શૌચાલયોની મરામત કરી સુચારુ આયોજનના ભાગરૂપે પુનઃ ઉપયોગમાં લઈ શકે તે માટે રેટ્રોફિટિંગની ખૂબ જ સરાહનીય કામગીરી હાલમાં ચાલી રહી છે. જે પરિણામલક્ષી અને ફળશ્રુતિના ભાગરૂપે અતુલ કંપની ધ્વારા કરેલ જાહેર સેવાના હિતમાં અને આરોગ્યને લક્ષમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ તેમજ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.