-
દુનિયાના દેશો હેલ્થ ઈન્શ્યુરન્સ આપે છે આપણે એક ડગલું આગળ ચાલી હેલ્થ એસ્યોરન્સ આપીએ છીએઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
-
દિવાળી ટાણે રાજ્યની પ્રજાને પ0 લાખ આયુષ્માન કાર્ડ ભેટસ્વરૂપે વિતરણ કરવાનો કાર્યક્રમ વલસાડમાં અતુલ પંચાયતમાં યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: ‘ધનતેરસ અને દિવાળી સામે છે ત્યારે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે માનવતાની સેવા કરવાનો મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. આરોગ્યથી મોટુ બીજુ કોઈ ધન નથી, બીજુ કોઈ સૌભાગ્ય નથી. દુનિયાના બીજા દેશોમાં હેલ્થ ઈન્સ્યુરન્સ છે પણ આપણે એક ડગલુ આગળ ચાલીને હેલ્થ ઈન્સ્યુરન્સ નહીં પણ હેલ્થ એસ્યોરન્સ આપીએ છે. પહેલાના સમયમાં ઉધાર-ઉછીના લાવીને સારવાર કરાવવાની નોબત હતી આજે એ દિવસો ગયા. આયુષ્યમાન કાર્ડ સોનાની લગડી સમાન છે. અડધી રાત્રે કંઈ પણ થાય તો હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં તમે હોવ ત્યાં ફ્રી સારવાર મળી રહેશે. દિવાળી ટાંણે ગુજરાતની જનતાને 50 લાખ આયુષ્યમાન કાર્ડની ભેટ આપવામાં આવી રહી છે.’ એમ વલસાડના અતુલ ગ્રામ પંચાયત ખાતે પીએમજેએવાય કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધનમાં રાજ્યભરની જનતાને જણાવ્યું હતું.
વધુમાં પ્રધાનમંત્રીશ્રી કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવાળીના તહેવાર સમયે 50 લાખ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) – આયુષ્યમાનકાર્ડનું વિતરણ કરવું એ મોટુ કામ છે. આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત રંગ લાવશે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં શું જરૂરીયાત છે તેનો અભ્યાસ કરી નીતિ બનાવી બધાને આવરી લે છે. આવાસ, શૌચાલય, રાંધણગેસ, નલ સે જલ, મફત અનાજ સહિતની બાબત પર ધ્યાન આપી રહ્યા છે. કોરોનાકાળમાં પણ દેશના એક પણ ઘરમાં ચૂલો ન સળગે તેવું થવા દીધું નથી. પ્રધાનમંત્રીશ્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેઓને વ્યસનથી દૂર રહેવા માટે શિખામણ પણ આપી હતી.
વલસાડની અતુલ ગ્રામ પંચાયત ખાતેના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલે કહ્યું કે, કોરોનાકાળમાં આ કાર્ડનો અનેક લોકોએ લાભ લીધો છે. દરેક ઘરનો વ્યક્તિ આ કાર્ડ ધરાવતો હોવો જોઈએ. વધુમાં તેમણે પ્રજાને અવગત કરતા જણાવ્યું કે, વહીવટી તંત્ર તરફથી જે કાર્ડ આપવામાં આવે તે જ માન્ય ગણવામાં આવશે.
વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોરે જણાવ્યું કે, આ કાર્ડથી છેવાડાના લોકોને આરોગ્ય સુવિધાનો લાભ મળ્યો છે. તમામ નાગરિકોને આ કાર્ડનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાતરાજ્યના કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. ત્યારબાદ ગુજરાતના વિકાસની ઝલક દર્શાવતી ફિલ્મ રજૂ કરાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ, અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, વલસાડ ગ્રામ્ય મામલતદાર તેજલ પટેલ, સિટી મામલતદાર કલ્પના ચૌધરી અને લેપ્રસી અધિકારી જયશ્રીબેન ચૌધરી સહિત અધિકારી અને કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ધરાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. નીધિ પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ વલસાડ તાલુકા હેલ્થ ઓફિસર ડો. કમલભાઈ ચૌધરીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય ખાતાના ડિસ્ટ્રીક્ટ પ્રોગામ આસિસ્ટન્ટ નિકિતા દેસાઈએ કર્યુ હતું.
બોક્સ
આગામી દિવસોમાં વલસાડ જિલ્લામાં 1 લાખ લોકોને પીવીસી આયુષ્યમાન કાર્ડ અપાશે
વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6.32 લાખ લાભાર્થીઓ પૈકી 4.80 લાખ લાભાર્થીઓને અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ અપાયા છે. હવે આગામી દિવસોમાં 1 લાખ જેટલાં લાભાર્થીઓને પીવીસી આયુષ્માન કાર્ડ વિતરણ કરાશે. વલસાડજિલ્લાના તમામ તાલુકા કક્ષાએ આયુષ્માન યોજના (ભ્પ્થ્ખ્ળ્) ના લભાર્થીઓને પ્રિન્ટેડ પીવીસી આયુષ્માન કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વલસાડ તાલુકાનો કાર્યક્રમ અતુલ ગ્રામ પંચાયત, વાપીનો વીઆઈએ હોલમાં, પારડીનો મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં, ઉમરગામનો સાંસ્કળતિક હોલ ધોડીપાડા, ધરમપુરનો આદર્શ નિવાસી શાળા, બામટી અને કપરાડા તાલુકાનો કાર્યક્રમ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો.