જિ.પં. પ્રમુખ ભીખુ આહીરની પત્નીએ નોંધાવેલી પોલીસમાં ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ચીખલી-વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ ઉપર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના સાગરીતોએ કરેલા હુમલા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી આગ ચંપી કરી હોવાની ઘટના બનવા પામી હતી. જેના પગલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની પત્નીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય શ્રી અનંત પટેલ સહિત કેટલાક ઈસમોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે અને સદર ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પરંતુ એ પણ જાણવા જેવું છે કે ધારાસભ્ય શ્રી અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાબતે આરોપીઓને પકડી પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે નહીં?
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ખેરગામ મુખ્ય બજારમાં ચીખલી-વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ ઉપર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર (રહે. બહેજ તા.ખેરગામ) તેમજ તેમના કેટલાક સાગરીતોએ હથિયારો વડે હુમલો કરતા ધારાસભ્ય શ્રી અંનત પટેલ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જોકેહુમલાની ઘટનાની ખબર વાયુવેગે ચીખલી-વાંસદા સહિત સમગ્ર ગુજરાતમાં પ્રસરતાં આદિવાસીઓના ટોળેટોળા શ્રી અનંત પટેલના સમર્થનમાં ખેરગામ ખાતે ઉમટી પડયા હતા. અહીં ઉશ્કેરાયેલા ટોળાએ જાહેર માર્ગ ઉપર જ અડીંગો જમાવી દેતાં પોલીસ તંત્ર માટે ટોળાને કાબુમાં રાખવા નાકે દમ આવી ગયો હતો. વધુમાં ઉશ્કેરાયેલા ટોળાએ ધારાસભ્ય શ્રી અનંત પટેલ ઉપર હુમલાના કથિત આરોપી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની ખેરગામ દશેરા ટેકરી ખાતે આવેલી દુકાનમાં તોડફોડ કરી તેમજ દુકાનને સળગાવી દેતાં અંદાજે ઘણું જ નુકશાન થયું હોવાની રટણ કરાઈ રહ્યું છે. નવસારી જિ.પં. પ્રમુખ ભીખુ આહીરની પત્ની સુમિત્રાબેન આહિરે ખેરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં દુકાનનો રૂા.1.50 લાખનો વકરો ગાયબ હોવાનું જણાવ્યું છે. ખેરગામ પોલીસે ફરિયાદના આધારે ધારાસભ્યશ્રી અનંત પટેલ, શ્રી પુરવ તળાવીયા, ઝરણા પટેલ, શ્રી ધર્મેશ પટેલ, શ્રી ગૌરવ પંડયા સહિતના ટોળા સામેગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ખેરગામ પોલીસ સ્ટેશનમાં ચીખલી-વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ સહિત કેટલાક શખ્સો સામે ત્રણ જેટલી અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી હોવાની ઘટના બાબતે માહિતી મેળવવા ખેરગામના પી.એસ.આઈ. શ્રી ચાવડાનો રૂબરૂસંપર્ક કરતા તેઓ પાસે ફરિયાદની કોઈ જ માહિતી નહીં હોવાનું જણાવ્યું હતું અને આ માહિતી નવસારીના ડી.વાય.એસ.પી. પાસેથી મળશે એમ જણાવ્યું હતું. જોકે નવસારી ડીવાયએસપી એસ.કે.રાયનો મોબાઈલ નંબર 99784 08269 ઉપર સંપર્ક કરતા તેઓએ ફોન રીસીવ કર્યો ન હતો.
નવસારી જિલ્લાના ખેરગામ ખાતે સર્જાયેલી અશાંત પરિસ્થિતિ ને પગલે નવસારી જિલ્લાના અધિક કલેકટર દ્વારા ખેરગામ વિસ્તારમાં ચાર કે વધુ શખ્સો ભેગા ન થાય એ માટે 144 ની કલમ લાગુ કરવામાં આવી હતી. જેની મુદ્દત 18/10/2022 સુધી હતી. જે મુદ્દત હવે તા.28/10/2022 સુધી કરી દેવામાં આવી છે.