વાસ્મો યોજનાથી પર્યાપ્ત પાણી મળશે તે માત્ર ઠાલા વચનો બન્યા છે : કેટલાક વિસ્તારોમાં બાલટી પાણી માટે ફાંફા પડી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.12: જળ છે તો જીવન છે. પણ જ્યાં જળ ના હોય ત્યાં જીવન કેમ શક્ય બને? કંઈક તેવી કારમી અસહ્ય પાણીની સમસ્યા ધરમપુર-કપરાડાના અસંખ્ય ગામોમાં ઉભી થઈ ચૂકી છે. આઝાદીનો અમૃત મહોત્સવ ભલે ઉજવાતો રહ્યો છે. પરંતુ તેના મીઠા ફળ ધરમપુર કપરાડાના અંતરીયાળ ટ્રાયબલ એરીયા સુધી નથી પહોંચ્યા. આ નરી વાસ્તવિકતા અને કડવું સત્ય પણ છે.
ગુજરાતનો ચેરાપૂંજી ગણાતો વિસ્તાર, સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર કાળ ઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યો છે. પર્વતીય વિસ્તારમાં હાલ ઉનાળામાં પાણીની ભયંકર કટોકટી ઉભી થઈ ચૂકી છે. એક-બે, ચાર ગામડા નહીં પણ સેંકડો ગામોમાં પાણીની કપરી વ્યથા-પીડા લોકો ભોગવી રહ્યા છે. આ વિસ્તાર માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની સમસ્યાનો અંત લાવવા માટે વાસ્મો યોજના કાર્યરત કરાઈ છે પરંતુ આ યોનજાના દાવા અને સફળતાના બરાબર જ છે. રૂપાળુ સ્લોગન વહેતુ કરાયું છે. નલ સે જલ પણ જલ કે નળ છે કે ક્યાં? હોય તો ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં બતાવો? કાળઝાળ ગરમીમાં બહેનો, બાળકો બે-ચાર કિલોમીટરનો વિસ્તાર ચાલી ખાડા કે ખનકાઓમાં પાણી શોધી માથે ઉપાડી લાવવાની લોકો દયનીય સ્થિતિ ભોગવી રહ્યા છે. ઉનાળામાં એ.સી. ઓફિસોમાં બેસી ફીલ્ટર પાણી પિતો અધિકારી વર્ગકપરાડા-ધરમપુરના ઊંડાણ ભર્યા વિસ્તારમાં પાણીની સ્થિતિનો તાગ ક્યાંથી મેળવી શકે. બસ નલ સે જલ કેમ સાકાર થાય છે. જ્યાં જળ નથી જળ માટે જોઈએ તેવું વ્યવસ્થાપન નથી. યોજનાઓ કાગનો વાઘ બની કોડીયા તાણી રહી છે અને ભોગ ગરીબ આદિવાસી વિસ્તાર બની રહ્યો છે.