-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને કઠોર પરિશ્રમનું પરિણામઃ આવતા દિવસોમાં પણ દાનહ અને દમણ-દીવની વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકનારી સર્વોપરિતા
-
આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હસ્તે સેલવાસ ન.પા.ના અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ અને ચીફ ઓફિસર ડો. મનોજ કુમાર પાંડેએ કરેલો સ્વીકાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 19 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શનમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન(પીએમએવાય-યુ)માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશોની વિશેષ શ્રેણીમાં જમ્મુ અને કાશ્મીરની સાથે પ્રથમ પુરસ્કાર મળ્યો છે.
આજે રાજકોટ ખાતે ત્રિ-દિવસીય ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને સર્વશ્રેષ્ઠ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં પ્રથમ પુરસ્કાર કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપસિંહ પુરી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને મુખ્ય અધિકારી ડો. મનોજ કુમાર પાંડેએ ગ્રહણ કર્યો હતો.
સેલવાસ નગરપાલિકા દ્વારા કાર્યાન્વિત પીએમએવાય-અર્બનના અંતર્ગત કુલ 1232 મકાન/આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દરેક મકાનનું નિર્માણ બાલદેવી અને આંબેડકરનગર ખાતે થઈ રહ્યું છે. આ બંને જગ્યાએ મકાનોના નિર્માણ અંતિમ ચરણમાં છે. શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસીના અંતર્ગત પોતાની જમીન ઉપર કાચા ઘરમાં રહેતા લોકોને પોતાનું પાકું ઘર બનાવવા માટે સરકાર દ્વારા નાણાંકીય સહાય પણ પ્રદાન કરવામાં આવી રહી છે. જેના કારણે પાકા આવાસમાં રહેતા લોકો દરેક મૌસમમાં સુવિધાપૂર્વક રહી શકે.અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવને પીએમએવાય-યુ પુરસ્કાર 2021માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે મળેલા પ્રથમ પુરસ્કાર પાછળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને તેમના દ્વારા કરાતા કઠોર પરિશ્રમનો મહત્વનો ફાળો છે. આવતા દિવસોમાં પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિવિધ ક્ષેત્રે પોતાની સર્વોપરિતા બનાવી રાખશે એવો વિશ્વાસ પણ સામાન્ય લોકોમાં જન્મી રહ્યો છે.