(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વલસાડના રાબડા ગામમાં રહેતા વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી દરવર્ષે દિવાળીના તહેવાર પર જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
તા.22-10-2022 ધન તેરસને શનિવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાબડા ગામના વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને અનાજ, ચોખા, તેલ, ખાંડ, કઠોળ વિગેરે જીવન જરૂરી એવા અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તેવા શુભ આશયથી 160 થી વધુ પરિવારોને આપવામાં આવેલ આ અનાજ કીટથી રાબડા ગામમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. અનાજની કીટનું વિતરણ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્ર, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી કિરીટભાઈ ડેડાણીયા તેમજ રાબડા ગામના સરપંચ શ્રીમતી કિન્નરીબેન પટેલ તથા ગામના આગેવાન શ્રી ઠાકોરભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી જસવંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.