ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલ પત્રકાર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડથી બચવા બે મહિલા પત્રકારોએ આગોતરા જામીનની અરજી વાપી કોર્ટમાં કરી હતી. નામદાર કોર્ટે બન્ને કથિત મહિલા પત્રકારોની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
વાપી બલીઠામાં સ્પા સંચાલક પાસે 5 લાખની માંગણી કરનારા કહેવાતા પત્રકાર ક્રિષ્ણા ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્મા વિરૂધ્ધ વાપી ટાઉન પો.સ્ટે.માં સ્પા સંચાલકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ત્રણેય પત્રકારો ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જે પૈકી બે કથિત મહિલા પત્રકાર સોનિયા ચૌહાણ અને સેમ શર્માએ ધરપકડથી બચવાઆગોતરા જામીનની અરજી કોર્ટમાં કરી હતી. વાપીના એડિશનલ જજ પુષ્પા સૈનીએ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને કથિત મહિલા પત્રકાર સંધ્યા ઉર્ફે સૌનિયા તુષાર અને સેમ મહેન્દ્ર શર્માની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરતો હૂકમ કર્યો હતો તેથી પત્રકારોની ધરપકડ નિશ્ચિત બની છે.