(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રિ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટનાં આદેશથી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સમયાંતરે લોકોને ઝડપી ન્યાય અપાવવા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય આપવા પ્રયાસ થાય છે.
વલસાડ જિલ્લામાં આગામી તા.12/11/20રર નાં રોજ ચેરમેનશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ શ્રી પ્રકાશકુમાર એ. પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકા અદાલતોમાં નેશનલલોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં લગ્ન વિષયક તકરારનાં કેસો, કૌટુંબિક તકરારના કેસો, ભરણપોષણનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસ, મજૂર કાયદાને લગતા કેસ, ગ્રાહક સુરક્ષાને લગતાં કેસો, દિવાની દાવા જેમાં ભાડા, બેન્ક અને વિજળી બીલ તેમજ બેન્કો અને ફાયનાન્સ કંપનીઓનાં પ્રિલીટીગેશન કેસો તથા ટ્રાફિક ચલણનાં વસુલાતનાં કેસો વિગેરેના સમાધાન લાયક કેસ લેવામાં આવશે એવું વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવશ્રી એસ.એચ. બામરોટીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Previous post