(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના ઉકેલ માંગતા વિવિધ પ્રશ્નો અંગે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદને લેખિત રજૂઆત કરી છે. સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે કરેલી રજૂઆતમાં સડકોના સમારકામ, ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય વિભાગની સમસ્યા, દરેક ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની યોજના અનેરોજગાર જેવા મહત્વના મુદ્દાઓ અંગે પ્રશાસકશ્રીના સલાહકાર અને ગૃહમંત્રીને જણાવાયું છે.
દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પ્રદેશના મહત્વના મુદ્દાઓ જે તમામ વર્ગના લોકોને સીધી અસર થતા જોવા મળે છે આ મુદ્દાઓ અંગે ઘણી વખત પ્રશાસનિક અધિકારીઓ સમક્ષ મુકવા છતાં પણ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું નથી, એના વહેલામાં વહેલી તકે નિવારણ કરવા જેવા કે પ્રદેશની ગામડું હોય કે શહેર તમામ જગ્યાએ સડકોની હાલત કોઈથી છુપાયેલ નથી, સડકોની હાલત વધુ ખરાબ થઈ રહી છે, જે સંદર્ભે ગત 5મી ઓગસ્ટના રોજ સંસદમાં પણ રજુઆત કરી હતી. વરસાદની મૌસમ સમાપ્ત થઈને એક મહિના જેટલો સમય વિતી ગયો છે પરંતુ સડકોના સમારકામ કે નવીનિકરણના કામમાં તેજી આવી નથી. જેના કારણે સડક દુર્ઘટનાને આમંત્રણ આપતા ખરાબ રસ્તા પર હવે પોતાના જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે અને કેટલાક લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવવો પડયો છે. ખખડધજ સડકો ઉપર શાળાની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સની અંદર બેઠેલ દર્દીઓની હાલત દયનીય થઈ રહી છે. એવામાં રસ્તાઓના નવીનિકરણના કામ અત્યંત જરૂરી બન્યા છે, નહિતર આવાગમનની સ્થિતિ વધુ ભયાવહ થઈ જશે. તેથી અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પ્રદેશના તમામ ખખડધ રસ્તાઓનુંનવીનિકરણ કરવામાં આવે.
અન્ય સમસ્યા વરસાદની ઋતુ પહેલાં પ્રદેશમાં કેટલીક જગ્યા પર રસ્તાના સૌંદર્યકરણના નામે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ હટાવી દીધી હતી, ત્યારબાદ ધોધમાર વરસાદમાં ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ નહીં હોવાને કારણે લોકોને ઘણી જ મુસીબતોનો સામનો કરવો પડયો હતો અને ઘણી જગ્યા પર અંધારપટના કારણે કેટલીય દુર્ઘટનાઓ થવા પામી હતી. તેથી જ્યાં સુધી કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એવી જગ્યા પર કામચલાઉ લાઈટ અને ડિવાઈડરની વ્યવસ્થા કરવામાં આવે જેથી હજુ કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવનાને રોકી શકાય. આ ઉપરાંત પ્રદેશમાં મૌસમી અને મચ્છરો દ્વારા થતી બીમારી જેવી કે વાઈરલ તાવ, ડેંગુ, મેલેરિયાના દર્દીઓમાં વધારો થવા પામ્યો છે. તેથી આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જેવી સંસ્થાઓ આ બાબતોને ગંભીરતાથી લઈ દરેક જગ્યા ઉપર દવાનો છંટકાવ તથા ફોગિંગનું કાર્ય કરે.
ભારત સરકારની અતિ મહત્વપૂર્ણ ‘હર ઘર નલ યોજના’ જે પ્રદેશમાં હાલમાં 50 ટકા પણ લાગુ થઈ નથી જેના કારણે ગામડામાં અને શહેરમાં સ્વચ્છ પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. આજે પણ દુષિત પાણી પીવા લોકો મજબુર છે. કારણવશ વિવિધ રોગના શિકાર થાય છે. જેથી સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા વહેલામાં વહેલી તકે કરવામાં આવે જરૂરી છે.
આસિવાય સાંસદ શ્રી કલાબેન ડેલકરે ફરિયાદમાં જણાવ્યું છે કે, પ્રદેશમાં વિકાસીય અને જનહિતના કાર્યોમાં ઝડપ લાવવા માટે વિવિધ પ્રશાસનિક વિભાગોમાં કેટલીક સમસ્યા છે જેને સુધાર કરી કેન્દ્રની મહત્વપૂર્ણ યોજનાઓ ખરી રીતે લાગુ કરી શકાય એમ છે. જેવી કે વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પદોને ભરવા અત્યંત જરૂરી છે. જેમાં ખાસ કરીને પીડબ્લ્યુડી, જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, વન વિભાગ, સિંચાઈ વિભાગ અને નગરપાલિકા સહિત અન્ય સરકારી વિભાગોમાં વર્ષોથી કાર્યરત કર્મચારીઓ જેઓનો પગાર ઘટાડી દેવામાં આવ્યો છે એને પહેલાંની જેમ જ રાખવામાં આવે અને કાઢી મુકવામાં આવેલ કર્મચારીઓને પ્રાથમિકતા આપવામા આવે જેથી વિકાસીય અને જનહિતના કાર્યોમા તેજી આવે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્યું છે કે, ઉપરોક્ત દરેક મુદ્દાઓ જનતા માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી આપને અનુરોધ કરૂં છું કે તાત્કાલિક દરેક મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખી સંબંધીત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા દિશા-નિર્દેશ જારી કરવામાં આવે.