નોટિસ મોકલાવીને ભેદ ખોલવાની ધમકી આપી કરતા હતા ઉઘરાણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.11 : દાનહ પોલીસે બ્લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, ઝડપાયેલ 3 ઈસમો પાસેથી પાંચ લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગુરુવારના રોજ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે મને અને અન્ય માર્બલ ઉદ્યોગોને માર્બલ સ્લરી ડમ્પ કરવા સંદર્ભે નોટિસ મોકલાવતા હતા અને કાનૂની પરિણામના બહાને પૈસાની માંગ કરી તેઓને બ્લેકમેઈલ કરવામાં આવે છે. જે સંદર્ભે સેલવાસ પોલીસે આઈપીસીની 384, 34, 120 કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ નરોલી ચોકીના ઈન્ચાર્જ પીએસઆઈ શ્રી સુરજ રાઉતને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન પી.આઈ. શ્રી હરિશસિંહ રાઠોડ, પી.એસ.આ.ઈ શ્રી જીગ્નેશ પટેલ, શ્રી શશીકુમાર સિંહ અને શ્રી નિલેશ કાટેકરની એક ટીમ બનાવવામાં આવી હતી અને તપાસ દરમ્યાન રેડ પાડવામાં આવી હતી જ્યાં આરોપી અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ (રહેવાસી હવેલી ફળિયા, નરોલી)ને ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા રોકડા લેતા રંગેહાથ પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ એના અન્ય સાથીદારો પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને એડવોકેટ વિશાલ કન્હૈયાલાલ શ્રીમાલીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં પ્રથમ દસમુ પાસ પરિવહન વ્યવસાય સાથેજોડાયેલ નરોલીનો રહેવાસી અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ જેના ઉપર વર્ષ 2007માં પણ આઈપીસીની કલમ 451, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. બીજો આરોપી એલ.એલ.બી. ફાઈનલ વર્ષમાં નરોલીનો રહેવાસી પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ છે અને ત્રીજો આરોપી વકીલ વિશાલ શ્રીમાલી છે. આ ત્રણેય આરોપીએ પ્રદેશની મોટી હસ્તીઓને પણ ઘણીવાર બ્લેકમેઈલિંગ કરી ઉઘરાણી કરી રહ્યા હતા. આ કેસમાં વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.