(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સરપંચ શ્રીમતી રંજનાબેન પટેલની અધ્યક્ષતામાં અને દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાની ઉપસ્થિતિમાં સુરંગી ગ્રામ પંચાયતમાં 2જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે ‘આયુષ્યમાન ભવઃ’ કાર્યક્રમ હેઠળ વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અતિથિઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામસભાની કાર્યવાહીને આગળ ધપાવી હતી.
આ પ્રસંગે સુરંગી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રંજનાબેન પટેલ, ટી.બી. એસ.ટી.એસ. શ્રી જીતેન્દ્ર પટેલ અને ચીખલી રક્તપિત્ત સી.એચ.ઓ. શ્રીમતી હીનાબેન પટેલ, નોડલ ઓફિસરો શ્રી સુરેશભાઈ ભોયા, શ્રી રાજેન્દ્રભાઈ મોહિલેએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.
આ અવસરે સફાઈકર્મીઓને ‘સ્વચ્છતા હી સેવા-પખવાડા’ અંતર્ગત કામગીરીના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સફાઈ અભિયાન અંતર્ગત ગ્રામસભામાં ઉપસ્થિત રહેલ અતિથિશ્રીઓ અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કાર્યાલય પરિસરની સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. કાર્યક્રમના માધ્યમથી લોકોમાં ભારત સરકારની વિવિધકલ્યાણલક્ષી યોજનાઓ અને ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ આપવામાં આવ્યો હતો.