શાળા પરિવારે સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.13: શ્રી વાંકલ વિભાગ અમરજ્યોત કેળવણી મંડળ સંચાલિત માધ્યમિકશાળા ખારવેલના ઈન્ચાર્જ આચાર્ય શ્રી દિપકસિંહ દેસાઈ વયમર્યાદાને કારણે નિવૃત થતા વિદાય સન્માન સમારોહ વ્યાસાશ્રમ ધરમપુર ખાતે યોજાયો હતો. જેમાં શાળા પરિવાર સહિત નગરના ગણમાન્ય શ્રેષ્ઠીઓ જોડાયા હતા.
ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ધરમપુર તાલુકાની માધ્યમિક શાળા ખારવેલના શિક્ષક તરીકે શ્રી દિપકસિંહ દેસાઈ 21/9/1989થી જોડાયા હતા અને તાલુકાના ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનના વિષયમાં રૂચી વચે અને વિદ્યાર્થીઓ વિજ્ઞાનાશાખામાં આગળ વધી શૈક્ષણિક કેડી કંડારે એવા પ્રયત્ન સતત 33 વર્ષ સુધી કરતા રહ્યા, રાજપૂત સમાજની વિવિધ શૈક્ષણિક, સેવાકીય, અને સમાજ ઘડતરની તમામ પ્રવૃતિમાં શ્રી દિપકસિંહ દેસાઈ સતત રાહબર બની ઉભા રહ્યા, વધુમાં ધરમપુર નગરમાં આવેલ વ્યાસઆશ્રમની તમામ સેવાકીય પ્રવૃતિમાં શ્રી દિપકસિંહ દેસાઈએ પોતાનું યોગદાન આપી શિક્ષણ સાથે સમાજસેવાની પુરક પ્રવૃતિઓ કરી નગરમાં અને તાલુકામાં એક સાચા શિક્ષકની છાપ ઉભી કરી, છેલ્લા કેટલાક સમયથી શારીરિકરીતે અનેક વ્યાધિઓ હોવા છતાં મક્કમ અને દ્રઢ વિશ્વાસના કારણે નિવૃત્તિવયના છેલ્લા દિવસો સુધી ખારવેલ શાળા-પરિવારના વિકાસમાં ઓતપ્રોત રહ્યા, નિવૃત્તિ વિદાય સમયે ભાગવતાચાર્ય શ્રી પંકજભાઈ વ્યાસ, શ્રી ભરતભાઈ વ્યાસ, શ્રી બટુકભાઈ વ્યાસ, શ્રી આશિષભાઈ વ્યાસે આશીર્વચન આપી શ્રી દિપકસિંહ દેસાઈની શિક્ષણ અને સમાજની કરેલી સેવાકર્યોની નોંધ લઇ બિરદાવ્યા હતા શાળા પરિવારે સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કર્યા હતા.
નગરમાં અને તાલુકામાં દિપક સરના હુલામણા નામે ઓળખાતા દીપકસિંહ દેસાઈ એક સ્પષ્ટ વક્તા સાચા સલાહકાર પરોપકારી કોઈનું ભૂલથી પણ અહીત ન થાય તેની કાળજી રાખનાર એક શ્રેષ્ઠ શિક્ષક કરતા એક કેળવણીકાર તરીકે ખ્યાતી પામ્યા.
આ સમારોહમાં તેમના ધર્મપત્ની શ્રીમતી સુધાબેન, પુત્રી ડોક્ટર મોનિકા, પુત્ર કર્મજીતસિંહ સંસ્થાના પ્રમુખ શ્રીમતી ભારતીબેન, ઉપપ્રમુખ ધર્મેશસિંહ મંત્રી ચંદ્રસિંહ દેસાઈ, બીલીમોરા કોલેજના પ્રોફેસર શ્રીમતી રંજનબેન દેસાઈ, કરણસિંહ સોલંકી, શાળા પરિવાર, સગાંસંબંધીઓ, મિત્રમંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પત્રકારો હાજર રહ્યા હતાં.