પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કરાયેલો વધારાનો હવાલો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદની દિલ્હી બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરાયો છે. શ્રી વિકાસ આનંદે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં પોતાનો અખત્યાર 4થી જુલાઈ, 2022ના રોજ સંભાળ્યો હતો. તેઓ 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘના અનુગામી બન્યાહતા.
ગૃહ મંત્રાલય દ્વારા માત્ર 4 મહિનાના કાર્યકાળ દરમિયાન બદલી કરવાના આદેશથી પ્રદેશમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેનો વધારાનો હવાલો નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો છે. શ્રી રાજાવતને પ્રશાસકશ્રીના સલાહકાર તરીકેના અપાયેલા વધારાના અખત્યારથી પ્રશાસનમાં વધુ ગતિ આવશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.