(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા.12/11/22ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર મથકે વકીલ બારના સહયોગથી લોક અદાલતો યોજવામાં આવી હતી.
લોક અદાલતોમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમીનલ, ભરણપોષણ, ચેક રીટર્ન, જમીન સંપાદનના કેસો,ઈ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રિલીટીગેશન લોક અદાલતમાં 4713, લોક અદાલતમાં 677 તથા સ્પેશીયલ સીટીંગમાં 10348 મળી કુલ 15738 કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે.
લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત. આ લોકઅદાલતમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે, ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારીની યાદીમાં જણાવ્યું છે.