(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના બારપૂડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા શિવ ગુફાહૉલમાં 147 મી બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણીમાં ચંદુભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, ખુશાલભાઈ વાઢું દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે 147મી જન્મજયંતિ ઉજવણીમાં ચંદુભાઈ પટેલે જણાવ્યું કે અમર બિરસાને આજે ભગવાન ધરતી અબ્બા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજના દિવસે 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. ખુશાલભાઈ વાઢું એ જણાવ્યું કે આદિવાસી સમાજને એક થવાની જરૂરી છે. ઉપસ્થિત અનેક અગ્રણીઓ દ્વારા આદિવાસી સમાજ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વસંતભાઈ પટેલ, માધુભાઈ સરનાયક રાજુભાઈ દેસાઈ, કપરાડા સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ ભાસ્કર શીંગાડે ભાસ્કર ફોદાર, આદિવાસી મહાસંઘની ટિમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.