અનંત પટેલ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પૂર્વ પટ્ટીમાં વિવિધ જાહેર સભા સંબોધશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તા.01 ડિસેમ્બરે યોજાવાની હોવાથી વિવિધ રાજકિય પક્ષોએ ચૂંટણી પ્રચારના બ્યુગલ ફૂંકી દીધા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના અગ્રણી નેતા સ્ટાર પ્રચારકો ગુજરાતના મતદારોને રીઝવવા માટે ઠેર ઠેર ચૂંટણી-રેલીઓનો દોર આરંભી દીધો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચારના માત્ર 15 દિવસ બાકી રહ્યા છે તેથી 15 દિવસ રોજેરોજ ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓની ફોજ ગામેગામ શહેરોમાં ફરી રહેનાર છે ત્યારે કોંગ્રેસએ પણ પ્રચાર નેતાઓની ટીમ જાહેર કરી દીધી છે. વાંસદાના ધારાસભ્ય આદિવાસી નેતા અનંત પટેલની પસંદગી સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અનંત પટેલે પુષ્કળ આદિવાસી રેલીઓ યોજી છે. પાર-તાપી-રીવર લીંક યોજનાના વિરોધમાંતેમણે કરેલી કામગીરી નોંધ કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રિય સ્તરે લીધી છે તેથી ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં ધારાસભ્ય અનંત પટેલની પસંદગી કરાઈ છે. તેઓને ઉમરગામથી અંબાજી સુધી પૂર્વ આદિવાસી પટ્ટીના જિલ્લાઓમાં પ્રચારની બાગડોળ સોંપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી અનંત પટેલએ આદિવાસી વિસ્તારોમાં મોટુ પ્રભુત્વ જમાવ્યું છે તેવુ કોંગ્રેસ માની રહી છે તેથી તેમને પક્ષના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.