(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે શનિવારે આખો દિવસ દમણ-વાપી અને વલસાડમાં ગુજારવાના છે. વલસાડ જિલ્લાના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાનશ્રીનો પૂર્ણ દિવસનો કાર્યક્રમ ગોઠવાઈ ચૂક્યો છે. તેથી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ વાપી શહેરમાં ભાજપ તથા પોલીસ વિભાગ દ્વારા ગુરૂવારે રાત્રે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ યોજાયેલ સભામાં પાલિકાના સભ્યો, ભાજપના હોદ્દેદારો તમામ સમાજના આગેવાનો, વાપીના અગ્રણી નાગરિકો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધા દમણ એરપોર્ટ ઉપર આવતીકાલે શનિવારે સાંજે 5.30 કલાકે ઉતરશે, ત્યારબાદ દમણમાં ડાભેલ ચેકપોસ્ટ સુધી ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ સાંજે 6.30 કલાકે દાભેલ ચેકપોસ્ટ પહોંચશે. દાભેલ ચેક પોસ્ટથી ચલા, સર્કિટ હાઉસ સુધી વાપીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો યોજાનાર છે. વડાપ્રધાનના રોડ શોમાં કાયદો વ્યવસ્થા તથા 2પ હજાર ઉપરાંતની ઉપસ્થિત રહેનાર જનમેદની માટે આગોતરા આયોજન પરિપૂર્ણ કરી લેવાયા છે. તે માટે બપોરે 2 વાગ્યા થી રાત્રે 8.00 વાગ્યા સુધીદાભેલ ચેકપોસ્ટ ચલાથી રેલવે ઓવરબ્રિજથી સર્કિટ હાઉસ ચાર રસ્તા સુધીનો રોડ બ્લોક (બંધ) કરી દેવામાં આવનાર છે તેમજ ટ્રાફિક માટે વિવિધ ડાયવર્ઝનની પોલીસ દ્વારા ગોઠવણી કરી દેવાઈ છે. મોદી વાપીનો રોડ શો કાર્યક્રમ પૂર્ણ કરી વલસાડ જવા માટે નિકળશે. વલસાડના જુજવા ગામે યોજાનાર જાહેર સભાને સંબોધશે. આ જાહેર સભામાં પ0 હજાર ઉપરંતની જનમેદની ઉમટશે તેવું ધ્યાને રાખી આયોજન પૂર્ણ કરી લેવાયું છે. જાહેર સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વલસાડ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરનાર છે. તેથી જિલ્લા પ્રશાસને સર્કિટ હાઉસના રોડ અને ઈમારતનું રંગરોગાન આગોતરૂં પૂર્ણ કરી દીધું છે. તા.20 નવેમ્બરે રવિવારની સવારે વલસાડથી નિકળી સોમનાથ, વેરાવળ, ધોરાજી, અમરેલીમાં યોજાનાર સળંગ ચાર સભાઓમાં ભાજપના ઉમેદવારો માટે ઝંઝાવાતી પ્રચાર કરનાર છે. વાપીમાં વડાપ્રધાનના સ્વાગત-સન્માન અને રોડ શોની ભવ્ય સફળતા માટે ક્યાંય પણ કચાશ રખાઈ નથી અને વાપીવાસીઓમાં મોદીના રોડ શોનો લ્હાવો માણવાનો થનગનાટ આજે દિવસભર જોવા મળ્યો હતો.