(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા.01 ડિસેમ્બરના રોજ થનાર છે. માત્ર ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારાચૂંટણી પ્રચારનો જંગ છેડાઈ ચૂક્યો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલસાડ જિલ્લામાં વાપી-વલસાડના ચૂંટણી કાર્યક્રમો યોજાઈ ગયા બાદ આવતીકાલે સોમવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય નેતા અને પંજાબના સી.એમ. ભગવંત માનના જિલ્લામાં ઉમરગામ, કપરાડા અને ધરમપુરમાં રોડ શો યોજાનાર છે.
ગુજરાતની ચૂંટણી અત્યાર સુધી દ્વિપક્ષીય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યોજાતી હતી પરંતુ 2022ની ચૂંટણી આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિપક્ષીય થઈ ગઈ છે. દેશભરના મોટાભાગના રાજકીય પક્ષોના ઉચ્ચ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખી દીધા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ ગુજરાતના મતદારોને રીઝવવા માટે પ્રચારના ધમપછાડા આરંભી દીધા છે. ગુજરાતનો મતદાર કોઈને કંઈ કળવા દેતો નથી. માત્ર દર્શક બની સૌનો ચૂંટણી પ્રચાર નિહાળી રહ્યો છે. તેનુ મૌન પહેલી ડિસેમ્બરના રોજ મતદાનના દિવસે ખુલશે ત્યાં સુધી ગુજરાતનો નાથ કોણ બનશે તેનું સસ્પેન્સ બરકરાર રહેશે.