(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ખેડૂત તાલીમકેન્દ્ર, ડોકમરડી ખાતે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે 3જી ડિસેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા ઈ.સ.1992ના વર્ષથી દિવ્યાંગોની સમસ્યાને સમજવા તેમનું આર્થિક, સામાજીક રાજકીય અને સાંસ્કૃતિક ઉત્થાન કરવા ગૌરવપૂર્ણ જીવન અને તેમના હક્ક અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત શનિવારે યોજાયેલના કાર્યક્રમનો શુભારંભ દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત દિવ્યાંગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને નિહાળી કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા ભાવવિભોર બની ગયા હતા અને દિવ્યાંગ બાળકોને ગળે લગાવ્યા હતા.
આ પ્રસંગે સમાજ કલ્યાણ વિભાગ અને જિલ્લા અપંગતા પુનર્વાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે 60થી વધુ દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ, ટ્રાઈસિકલઘ કાનનું મશીન સહિત અન્ય મદદરૂપ સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે કલેક્ટર ભાનુ પ્રભાએ જણાવ્યું હતું કે, રેડક્રોસ સ્કૂલના બાળકો પ્રતિભા સંપન્ન છે, જેઓને દમણ-દીવ સહીત દેશની વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. આશાળાના બાળકોએ અગાઉ પણ રાષ્ટ્રીય રમત-ગમત કાર્યક્રમોમાં ભાગ લઈ પ્રદેશનું નામ રોશન કર્યું છે. આ દરમિયાન ખાનવેલના આરડીસીએ બાળકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે આપ સર્વે કુદરતની અનોખી રચના છે જેના માટે કશું અશક્ય નથી, તમારા જેવા ઘણાં સ્પેશિયલ લોકો રચનાત્મક કાર્ય કરી અને એને સિદ્ધ કરી બતાવ્યું છે. સમાજ કલ્યાણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી મનોજ પાંડે, રેડક્રોસ શાળાના આચાર્ય જ્યોતિર્મય સુર અને બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.