(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0પ: ધરમપુરના જાગીરી ગામની હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓ માટે વલસાડ જાયન્ટસ ગ્રુપ દ્વારા ત્રીજા તબક્કાનો બીલીમોરા-વઘઈ હેરીટેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતની શાન એવી 109 વર્ષ જૂની બીલીમોરા વઘઈ નેરોગેજ હેરીટેજ ટ્રેનની રોમાંચ જગાવતી મુસાફરીનો અદભૂત આનંદ હેમ આશ્રમના બાળકોએ માણ્યો હતો. જે બાળકો ટ્રેનમાં ન બેઠાં હોય એવા બાળકોને પણ આ મુસાફરીમાં સામેલ કરી હેરીટેજ ટ્રેનમાં બેસાડવાનું સપનું જાયન્ટસ ગળપ દ્વારા પૂરું થયું હતું. જાયન્ટસના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરપર્સન ડો. આશાબેન ગોહિલ અને હાર્દિક પટેલ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રણ તબક્કામાં યોજાયેલા આ પ્રવાસ કાર્યક્રમમાં કુલ 258 બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં માત્ર આઠા જ એવા બાળકો હતા જેમણે આ પહેલા ટ્રેનની સવારી કરી હતી. બાકીના તમામ બાળકોએ જીવનમાં સૌપ્રથમવાર જ ટ્રેનમાં મુસાફરી કરી હતી. સંસ્થાના સ્થાપક બાબલભાઈ, શીતલ ગાડર, શિક્ષકો, જાયન્ટ્સ સભ્યો અને વિદ્યાર્થીઓ મળી કુલ 275 વ્યક્તિઓએ આ હેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરવાનો લાહવોલીધો હતો. સાથે સાથે ગીરાધોધ અને જાનકીવનની મુલાકાત સાથે શૈક્ષણિક પ્રવાસ સંપન્ન થયો હતો.
પ્રવાસ કાર્યક્રમ ફેડરેશન પ્રમુખ બાલા શેટ્ટીજીના શુભાશિષ, ત્જ્ઝભ્ભ્ વિજયભાઈ પટેલ, ફેડેરેશન ડાયરેક્ટર યુનિટ-1 સુમંતરાય તથા જાયન્ટ્સ ગ્રૂપ ઑફ બીલીમોરાના ઉપસ્થિત સભ્યો, વાંસદાથી ધીરેન સોલંકી, હેમ આશ્રમ જાગીરીથી શીતલ ગાડર, બાબલભાઈ, જાગૃતિબેન, કમલેશભાઈ, શલમુભાઈ તથા અન્ય શિક્ષકો, અશ્વિનભાઈ ઠક્કર, ગીતાબેન ઠક્કર, શીરીન વોરા, દક્ષેશ ઓઝાના સહિયારા પ્રયાસથી સંભવ બન્યો હતો.