વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉદ્યોગોના હિતલક્ષી કામગીરી અને ભવિષ્યમાં થનારી કામગીરીનો રજૂ કરવામાં આવેલો ચિતાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટના અધ્યક્ષતા હેઠળ આજરોજ એસઆઈએના સભાખંડમાં અર્ધવાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાંઆવ્યું હતું. આ સભામાં એસ.આઈ.એ.ના સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલીએ એસ.આઈ.એ.ની વિવિધ કમિટીઓ દ્વારા ઉદ્યોગીક એસ્ટેટની માળખાકીય સુવિધામાં વધારો કરવા માટે તેમજ જનહિતને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી કલ્યાણકારી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, કોવિડ મહામારી સામે સુરક્ષા પૂરી પાડવા કરવામાં આવેલી બુસ્ટર ડોઝની કામગીરી, ઉપરાંત સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ, 66 કેવીએ વિજ સબ સ્ટેશનનું કરેલું ખાતમુહૂર્ત, એસ.આઈ.એ.ના નવા મકાન માટે જીઆઈડીસી વિભાગ પાસે મંજૂર કરાવેલ પ્લાન, વૃક્ષારોપણના કાર્યક્રમો ઉપરાંત વર્લ્ડ ઓક્સિજન, એન્વાયરમેન્ટ અને વોટર ડેના કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી. આ ઉપરાંત એસ.આઈ.એ.ના સરળ વહીવટ માટે અમલ મૂકવાના જરૂરી નિર્ણયો જેવા કે ઓડિટરની પુનઃ નિમણૂક સહિતના મુદ્દે સભ્યોનું સમર્થન પ્રાપ્ત કર્યું હતું.
આજની સભામાં એસ.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ અને સરીગામ જીઆઈડીસી એસ્ટેટ માટે છેલ્લા 40 વર્ષથી અગ્રણીની ભૂમિકામાં રહી એસ્ટેટના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શ્રી શિરીષભાઈ દેસાઈને એડવાઈઝરી ચેરમેન તરીકે કાયમી નિમણૂક આપી મોખેરાનું સ્થાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત દરેક એક્ઝિકયુટિવ કમિટીમાં મુખ્ય સ્થાને ઉપસ્થિત રહેવા ઈન્વાઇટિ મેમ્બર તરીકે કાયમીનિમણૂક આપવામાં આવી હતી. આ મુદ્દે પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ તેમજ સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલીએ શ્રી શિરીષભાઈની કાયમી નિમણૂકથી હાલના પ્રમુખશ્રી તેમજ તમામ કમિટીને વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં પણ એમના અનુભવ અને વહીવટી જ્ઞાનનો લાભ મળતો રહેશે એવો આશાવાદ વ્યક્ત કરી શ્રી શિરીષભાઈ દેસાઈએ કાયમી નિમણૂકના પ્રસ્તાવને સ્વીકારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આજની સભામાં અગ્રણી ઉદ્યોગપતિઓ પૂર્વ પ્રમુખ શ્રી ઉદયભાઈ મારબલી, શ્રી વી. કે. દાસ, તેમજ શ્રી જે. કે. રાય, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સમીમભાઈ રીઝવી, શ્રી નિર્મલભાઈ દુધાની, જોઈન્ટ સેક્રેટરી શ્રી સેહુલભાઈ પટેલ, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ ઓઝા, સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.