(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ માઉન્ટલીટ્રા શાળાના ગ્રાઉન્ડ ઉપર ખાનગી શાળાના વિદ્યાર્થીઓને તીરંદાજી માટેની ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમનો શુભારંભ દાનહ જિલ્લા પંચાયત મુખ્ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્તે કરવામાં આવ્યો હતો. અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓને તીરંદાજી શીખવવા ઈન્ટરનેશનલ કોચ ડો. સિંહાન હુસૈની ચેન્નાઈથી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આર્ચરી એસોસિએશન દમણ-દીવના ચીફ શ્રી કિરણ પ્રજાપતિ દ્વારા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બેઝિક ટ્રેનિંગ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં દાનહની માઉન્ટલીટ્રા સહિત આલોક પબ્લિક સ્કૂલ અને શિવપ્રકાશ મેમોરિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તીરંદાજીની કળા શીખી હતી. આ પ્રસંગે જિ.પં. મુખ્ય અધિકારી ડો. અપૂર્વ શર્મા અને સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્તે પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવ્યા હતા. આ અવસરે શાળાના આચાર્યશ્રી એસ.રમેશ, શ્રી દિવ્યાંગસિંહ ચૌહાણ, એડવોકેટ શ્રી બકુલ દેસાઈ, આર્ચરી ટ્રેનર મહિમાપ્રજાપતિ, શ્રી રાજેશ પટેલ, રેન્સી રાધાકૃષ્ણન સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.