અધિકારીઓની કાર્ય કુશળતાના અભાવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરડેવલોપમેન્ટ એન્ડ રીપેરીંગના કોન્ટ્રાક્ટરોએ કામગીરીમાં ઉતારેલી વેઠ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: ઉમરગામ નોટીફાઈડ વિસ્તારમાં અધિકારીઓની લાપરવાહી કારણે ભારે અરજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામમાં તેમજ સમારકામમાં અધિકારીઓએ ધ્યાન ના આપતા ઠેકેદારોએ વેઠ ઉતારેલી હોવાનું ઠેક ઠેકાણે દ્રશ્યમાન થઈ રહ્યું છે. ઉમરગામ નોટીફાઈડના સમગ્ર વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નિર્માણ કરવામાં આવેલી ગટર આડેધડ બનાવી દીધી હોવાનું નજરે આવી રહ્યું છે. ગટર માટે કરવામાં આવેલી લાઈન દોરી બેસતી નથી. તેમજ કેટલીક જગ્યાએ ગટર સાંકડી કરી દેવામાં આવી છે. એથી વધુ કેટલાક સ્થળોએ ગટરનું કામ અધૂરું છે તેમજ ગટર વચ્ચે મૂકવામાં આવેલા નાળા લેવલમાં નથી. આમ યોગ્ય રીતે કામગીરી પૂર્ણ ન કરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. અધિકારીઓની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરોની વેઠ ઉતારવાની નીતિ ના કારણે કરોડો રૂપિયા ખર્ચીને નિર્માણ કરવામાં આવેલી ગટર બિનઉપયોગી સાબિત થઈ રહી છે. અને ઠેક ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વરસાદી વહેણના સ્થળે ગટરના અભાવના કારણે જમીનનું ધોવાણ થતાં રોડની બાજુમાં ઊંડી ખીણ બનીજવા પામી છે જેમાં રાત્રિના સમયે વાહન ચાલકો કે ભારેખમ વાહનો રોડ ઉપરથી ઘસી પડે એવી શકયતા દેખાઈ રહી છે. આ કામગીરીમાં સમારકામની શકયતા પણ નહિવત જણાઈ રહી છે. ઉમરગામ નોટીફાઇડ કચેરીના અધિકારી તેમજ ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી કરતા ઠેકેદારોની મિલીભગત ઉપર ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપી કરેલા કામોની ચકાસણી કરવાની આવશ્યકતા જણાઈ રહી છે.