ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે ખુલેલા ઉચ્ચ શિક્ષણના અનેક દ્વારોઃ સરપંચ મુકેશ ગોસાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06: દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણના નિર્માતા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે સ્મરણાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ફક્ત અનુજાતિ કે જનજાતિના લોકોનું જ નહીં પરંતુ મહિલા, કામદારો તથા અન્ય પછાત વર્ગ સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્વિત કરીઆજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાત કરવામાં આવે તો છેવાડેના દરેક લોકો માટે ઉચ્ચ શિક્ષણના અનેક દ્વારો ખુલી ગયા છે. તેમણે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી મેડિકલ, પેરા મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ, ફેશન ડિઝાઈનીંગની કોલેજો આપણા પ્રદેશના બાળકોની શિક્ષણની ભૂખ ઉઘાડવા માટે શરૂ થઈ છે. તેથી અડધી રોટલી ખાઈને પણ બાળકને ભણાવવા ઉપર તેમણે જોર આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી નટવરભાઈ પેઈન્ટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ વંદનીય ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યું હતું.