(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને દાનહ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની પહેલથી અગામી તા.10મી ડિસેમ્બરના રોજ દપાડાની પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે દપાડા પંચાયત વિસ્તારમાં પ્રશાસનિક સેવાઓ પ્રદાન કરવા માટે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશ કે. પટેલે એક અખબારી યાદીમાં આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘પ્રશાસન આપના દ્વારે’ કાર્યક્રમમાં દપાડા વિસ્તારના લોકોને મામલતદાર વિભાગ મારફત જમીન વારસાઈ, પ્રમાણપત્ર, જન્મ અને મરણનું રજીસ્ટ્રેશન, એફીડેવિટ, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, કાસ્ટ અને ડોમિસાઈલ સર્ટીફિકેટ, આધારકાર્ડ તથા લગ્ન રજીસ્ટ્રેશન જેવા કામો માટે અરજીઓ કરી તેને સ્વીકારવામાં આવશે.
‘પ્રશાસન આપના દ્વાર’માં સર્વે અને સેટલમેન્ટ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ, દાનહ અને દમણ-દીવ એસ.સી, એસ.ટી., ઓબીસી અને માઈનોરીટિ ફાઈનાન્શિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા પશુ ખરીદવા માટે ગીર આદર્શ આજીવિકા યોજના તથા ટર્મ લોન લેવા માટે આવેદનપત્ર સ્વીકારાશે. જિલ્લા પંચાયત દ્વારા વૃદ્ધા, વિધવા અને દિવ્યાંગ પેન્શનમાટે તથા સમાજ કલ્યાણ વિભાગ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા નવું મતદાન કાર્ડ, મતદાન કાર્ડમાં સુધારા, મતદાન કાર્ડમાંથી નામ કમી કરવું તથા મતદાન કાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની વગેરે બાબતો અંગે આવેદન સ્વીકારાશે.
‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમમાં શ્રમ, રેડક્રોસ, વિદ્યુત, પશુપાલન, કૃષિ તથા ટપાલ વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ માટે આવેદનપત્ર સ્વીકારવામાં આવશે. જ્યારે બેંક ઓફ બરોડા બેંકને લગતી વિવિધ સુવિધાઓ અને વિવિધ લોન માટેના પ્રસ્તાવો પણ સ્વીકારશે. આ તમામ આવેદનો ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ દરમિયાન સવારે 10:00 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે એવો સ્પષ્ટ અભિપ્રાય ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશ કે. પટેલે પણ રજૂ કરેલ છે.