ઉમરગામ સ્ટેશન રોડ ઉપરના 17 જેટલા ઔદ્યોગિક હેતુ માટે ફાળવેલા પ્લોટમાં ચાલી રહેલી વાણિજ્ય પ્રવૃત્તિ સામે પૂર્ણ થયેલી નોટિસની પ્રક્રિયા બાદ હવે લાઈસન્સ અને એગ્રીમેન્ટને રદબાતલ કરવાની શરૂ થનારી શિક્ષાત્મક કામગીરીના વાગી રહેલા ભણકારા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ જીઆઈડીસીમાં હાક અને ઘાકથી વેપાર કરતા બની બેઠેલા ઉદ્યોગપતિઓ સામે અધિકારીઓની સત્તા પાંગડી સાબિત થઈ રહેવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ઉમરગામ જીઆઈડીસીમાંથી પસાર થયેલો ઉમરગામ સ્ટેશન અને ટાઉનને જોડતા માર્ગની આજુબાજુના ફાળવવામાં આવેલા ઉદ્યોગિક પ્લોટો ઉપર વાણિજ્ય પ્રકારનું બાંધકામ કરી બની બેઠેલા ઉદ્યોગપતિઓએ ગેરકાયદેસર ભાડા વેપાર તેમજ શોપિંગનું નિર્માણ કરી એગ્રીમેન્ટ ઉપર વેચાણ કરી અઢળક નાણું કમાવવાનો ધંધો કરેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા માત્ર ઔદ્યોગિક હેતુ માટે પ્લોટો ફાળવવામાં આવેલા છે જેના ઉપર વાણિજ્ય પ્રકારનું બાંધકામ કે વાણિજ્ય પ્રવૃત્તિ ગેરકાયદેસર છે તેમ છતાં ઉમરગામ જીઆઈડીસીમાં બાહુબલી જેવા બની બેઠેલાઉદ્યોગપતિઓએ જીઆઈડીસીના અધિકારીઓને તાબામાં કરી ગેરકાયદેસર પ્રવૃત્તિનો વ્યવસાય બનાવેલો છે. આ પ્રકારના 17 જેટલા વાણિજ્ય બાંધકામો અને વાણિજ્ય પ્રવૃતિ સામે કાર્યવાહી પ્રારંભ કરેલી છે. અને કાર્યવાહીના ભાગરૂપે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા નોટિસો પાઠવી અલ્ટિમેટમ આપવામાં આવ્યં છે. અલ્ટિમેટમના ભાગરૂપે પાઠવવામાં આવતી ત્રણ નોટિસની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. હવે પછી એક્ઝિકયુટ એન્જિનિયર વાપી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. જેમાં જીઆઈડીસી ફાળવેલા ઉદ્યોગિક પ્લોટો માટે કરવામાં આવેલા એગ્રીમેન્ટ અને આપવામાં આવેલું લાયસન્સ હેતુફેર થતા રદ બાતલ કરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ઉમરગામ જીઆઈડીસીમાં ઉમરગામ સ્ટેશન રોડ ઉપર આવેલા 17 જેટલા વાણિજ્ય બાંધકામોમાં વાણિજ્ય પ્રવૃત્તિ ચલાવનારાઓમાંથી ઘણાએ એગ્રીમેન્ટ ઉપર શોપિંગોનું ખરીદ કરી મોટી રકમની ચુકવણી કરેલાનું પણ અંદાજવામાં આવી રહ્યું છે. જ્યારે કેટલાક પ્લોટોમાં શોપિંગ બનાવી ભાડા પેટે વસુલાત કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે નજીકના ભવિષ્યમાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશેજેના કારણે આ પ્રકારના બાંધકામ કરનારાઓમાં ફાફડાટ ફેલાયો છે.
—-