પોલીસમાં ફરિયાદ આપવા છતાં વ્યાજખોરને કોઈ ફરક નહીં પડતાં છેવટે આત્મહત્યા કરવાનો કરેલો પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: સેલવાસના ડોકમરડી વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર હરિઓમ પાંડે રહેવાસી સાકેત કોમ્પ્લેક્ષ ડોકમરડી-સેલવાસ જેણે પાંચ વર્ષ પહેલાં વિનિત સિંહ પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા વ્યાજે લીધા હતા. જ્યારે સાત દિવસ બાદ પૈસા પરત કરવા ગયેલ તો વિનીતે લીધા નહીં હતા અને જણાવેલ કે છ મહિના સુધી વ્યાજ આપવું પડશે. તે મુજબ હરિઓમ પાંડેએ છ મહિના સુધી વ્યાજ ભર્યું હતું. ત્યારબાદ વિનિતે વ્યાજ સાથે મુદ્દલ પણ આપી દેવું પડશે. તે સમયે એની પાસે પૈસાની સગવડ નહીં હોવાથી વ્યાજના પૈસા ચૂકવી દીધા હતા. ત્યારથી લઈ અત્યાર સુધી વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રૂા.1,80,000 તેઓને વ્યાજરૂપે ચૂકવી દીધાછે અને જ્યારે પૈસા વ્યાજે લીધા હતા ત્યારે તેઓએ મારી પાસેથી કોરો ચેક અને આધારકાર્ડ લીધો હતો. અત્યાર સુધીમાં વ્યાજ સહિત ડબલ પૈસા આપી ચૂકેલ વિનિત સિંહે હરિઓમ પાંડેને જણાવેલ કે મારી પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા છે અને હવે ઘરે આવી ધમકી આપે છે અને ફોન ઉપર ગાળાગાળી પણ કરે છે.
હરિઓમને વિનિત સિંહ ઉપરાંત અન્ય વ્યક્તિ જેમાં મુકેશ વારલી, લલિત મિશ્રા સહિત બીજો એક વ્યક્તિ કારમાં બેસાડી મારવાની ધમકી આપેલ અને પૈસા આપવા માટે જણાવેલ. હરિઓમ પાંડેએ જણાવેલ કે હું આપને પાંચ હજાર રૂપિયા મૂળ રકમ પરત કરી દઉં પણ તેઓ માન્યા નહીં હતા. હરિઓમ પાંડેએ આ વ્યાજખોરોના ત્રાસ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી પણ આપી હતી. ત્યારબાદ પણ એને ધમકી મળતી હતી તેથી કંટાળીને આખરે પોતાના ઘરે જ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
હરિઓમ પાંડેના પરિવારના સભ્યોએ એના મોઢામાંથી ફીણ નીકળતુ અને અર્ધબેભાન અવસ્થામાં જોતાં તાત્કાલિક સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દાખલ કરવામાં આવેલ છે. જ્યાં એની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે સેલવાસમાં કેટલાય સમયથી વ્યાજખોરીનો ધંધો પુરજોશમાં ફૂલીફાલી રહ્યો છે. આ ધંધામાં કેટલાક જરૂરિયાતમંદોનેઊંચા વ્યાજે પૈસા આપી ત્યારબાદ જો પૈસા લેનાર સમય પર વ્યાજ નહીં ચૂકવે તો એના પર ડબ્બલ વ્યાજ ચડાવી દેતા હોય છે અને જે સમય પર વ્યાજ નહીં ચૂકવે તો તેને ફોન ઉપર ધમકી આપવામાં આવે છે. તેથી દાનહ પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે લાલ આંખ કરી સખતમાં સખત પગલાં ભરે અને આવા બેફામ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલે સમયની માંગ છે.