(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.12: સેલવાસના પીડબ્લ્યુ કાર્યાલયથી નગરપાલિકા પ્રમુખશ્રીના ઘર તરફ જતા રસ્તા ઉપર એલ એન્ડ ટી કંપની દ્વારા નવા શાકભાજી માર્કેટના નિર્માણ માટે જરૂરી મટેરિયલ રસ્તાની આજુબાજુ આડેધડ ઉતારવામાં આવેલ છે. ઉપરાંત વન વિભાગના કાર્યાલય સામે લોખંડના સળિયાના ભારાઓ જે અગાઉ ગટરલાઈન ઉપર રાખવામાં આવેલ હતા, જેને જે.સી.બી. દ્વારા ઊંચકીને રસ્તાની વચ્ચે ખડકી દેવામાં આવ્યા છે. આ રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે નાના બાળકો માટેનો વિભાગ આવેલ છે અને એક ખાનગી હોસ્પિટલ પણ આવેલ છે. સાથે એક ખાનગી શાળા પણ આવેલ છે. જેના કારણે આ રસ્તો હંમેશા ટ્રાફિકથી ભરેલો રહેતો હોય છે. તેથી જે લોખંડના સળિયા રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ છે જેના કારણે અહીંથી પસાર થનારા વાહનચાલકો, રાહદારીઓ તથા રખડતા પશુઓને અકસ્માત થવાનો પુરો ભય સતાવી રહ્યો છે. ન કરે નારાયણ ને જો કોઈ અકસ્માત સર્જાયો તો તેના માટે જવાબદાર કોણ?