-
નાની નાની પહેલથી ઊર્જાની બચત કરવા વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.આર.ઈંગ્લેએ આપેલી સલાહ
-
ઊર્જા સંરક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા ટોરેન્ટ પાવર દ્વારા દાનહ-દમણ-દીવની શાળાઓમાં સ્પર્ધાનું કરેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આજે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન’ નિમિત્તે દમણના વિદ્યુત વિભાગ અને સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સી દ્વારા મગરવાડાના પાવર હાઉસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ખુલ્લા વાતાવરણમાં કરી વિભાગે પોતાની ઊર્જા બચતની ઈચ્છાશક્તિ પણ અભિવ્યક્ત કરી હતી.
આ પ્રસંગે દમણ વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર અને સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સીના સી.ઈ.ઓ. શ્રી મિલિંદ ઈંગ્લેએ પોતાની રસાળ શૈલીમાં જણાવ્યું હતું કે, મોટા મોટા લક્ષ્યાંકો રાખવાથી હેતુ સરવાનો નથી. પરંતુ નાની નાની પહેલથી જ ઊર્જાની બચત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, દરેકના મનમાં ઈચ્છાશક્તિનો ભાવ જાગવો જોઈએ. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવતાં જણાવ્યું હતું કે, દરરોજ પોતાનું વીજમીટર ચેક કરી નક્કીકરે કે દિન-પ્રતિદિન વીજનો વપરાશ ઓછો થાય. આવી નાની નાની પહેલથી જ વિજળીનો બચાવ થઈ શકશે. તેમણે આ બાબતે દમણવાડા ગ્રામ પંચાયતને પણ નેતૃત્વ લેવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ટોરેન્ટ પાવરના જનરલ મેનેજર શ્રી પરિતોષ તુમડીએ પેટ્રોલ અને ડીઝલની બચત ઉપર પણ જોર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક જામ કે સિગ્નલ દરમિયાન પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલરને બંધ કરવાની આદત પાડવી જોઈએ. તેમણે ટોરેન્ટ પાવર દ્વારા લાઈન લોસિસ રોકવા થઈ રહેલા પ્રયાસોની પણ જાણકારી આપી હતી.
ટોરેન્ટ પાવરના જનરલ મેનેજર શ્રી પરિતોષ તુમડીએ વધુમાં જણાવ્યું હતું કે, ઊર્જા સંરક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે દમણ અને દાદરા નગર હવેલીની શાળાઓમાં ચિત્રકળા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે બાળકોમાં શરૂઆતથી જ ઊર્જાના બચતની જાણકારી મળી શકે.
આ પ્રસંગે સ્ટેટ ડેઝિગ્નેટેડ એજન્સીના કન્સલ્ટન્ટ શ્રી ચંદ્રેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2070 સુધી ગ્રીન એનર્જીના ક્ષેત્રે સ્વનિર્ભર બનવાના વિઝનને સાકાર કરવા અત્યારથી જ પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈમોદીએ કોરોના કાળ દરમિયાન એક દિવસ લાઈટ બંધ રાખવા આપેલા આહ્વાનની યાદ અપાવતા જણાવ્યું હતું કે, મહિનામાં એક દિવસ સ્વૈચ્છિક રીતે ઘર કારોબારની લાઈટ બંધ કરવાનું શરૂ કરવામાં આવે તો પણ ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે સારી મદદ થઈ શકશે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા શ્રી રાઉત અને શ્રી ટેમ્પેએ મનનીય માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુબ જ સુંદર અને ઉત્કૃષ્ટ રીતે દમણ વિદ્યુત વિભાગના સહાયક એન્જિનિયર શ્રી યોગેશ ત્રિપાઠીએ પાર પાડયું હતું.