વલસાડ-વાપી એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: આગામી સમયે વાપી રેલવે ફલાય ઓવરબ્રીજ તોડીને નવિન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થનાર છે તે પૂર્વે કલેક્ટર દ્વારા જાહેર વાંધા-સુચન મંગાવાયા હતા તે સંદર્ભે વાપી-વલસાડ એસ.ટી. બસને પણ અવર-જવર માટે મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખભાઈ પટેલની આગેવાની હેઠળ અપાયેલ આવેદન-વાંધા સુચન અંતર્ગત જ્યારે નવા પુલની કામગીરી દરમિયાનટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા માટે નવિન ફાટક એસ.ટી. ડેપોની સામે કાર્યરત કરવાનું છે તેમાં એવી જોગવાઈ કરાઈ છે કે આ ફાટકથી માત્ર લાઈટ વ્હિકલ અવર-જવર કરી શકશે. તો બીજી તરફ એસ.ટી. ડેપોનું સ્થળાંતર પણ હાઈવે ઉપર થનાર છે ત્યારે બસોના મેઈન્ટેનન્સ માટે વર્કશોપ હાલના ડેપોમાં કાર્યરત છે. સુચિત નવા ડેપોમાં એ સુવિધા નહી હોય તેથી મેઈન્ટેનન્સ માટેની એસ.ટી. બસોને લાઈટ વ્હિકલની સાથે સાથે ડેપો વર્કશોપ સુધી અવર-જવર કરવી જરૂરી હોવાની એસ.ટી. કર્મચારી મંડળે રજૂઆત કલેક્ટરને કરી છે. જો આ વ્યવસ્થા નહી થાય તો આગામી સમયે એસ.ટી. બસ સેવા પ્રભાવિત બની શકે છે તેવુ આવેદનપત્રમાં જણાવાયું છે.